28 વર્ષ બાદ યોજાયેલ રાજકોટ નાગરિક બેંકની 15 બેઠકોના પરિણામ જાહેર
સંસ્કાર પેનલ ખાતુ ખોલાવવામાં પણ હાંફી
રાજકોટ, તા. 19
રાજકોટ નાગરિક બેંક ની ગત રવિવારે યોજાયેલ મતદાનનું ગઈકાલે પરિણામ આવી ગયું છે જેમાં સત્તાધારી સહકાર પેનલનો જંગી લીડ થી વિજય થયો છે. મળતી માહિતી મુજબ 21 ડિરેક્ટરોની ચૂંટણીમાં સહકાર પેનલને છ બેઠકો બિનહરીફ મળ્યા બાદ બાકીની 15 બેઠકો માટે ગત રવિવારે મતદાન થયું હતું જેમાં સરેરાશ 96% મતદાન નોંધાયું હતું. ગઈકાલે રજા સર્કલ પાસે આવેલ નાગરિક બેંક ખાતે મત ગણતરી થઈ હતી જેમાં તમામ 15 બેઠક ઉપર સહકાર પેનલના ઉમેદવારો વિજય બન્યા હતા. મળતી માહિતી મુજબ આ માટે નાગરિક બેંકની ચૂંટણી હાઈ વોલ્ટેજ ચૂંટણી પણ માનવામાં આવતી હતી પરંતુ એક તરફી આ ચૂંટણીમાં સહકાર પેનલ નો સંસ્કાર પેનલ સામે વિજય થયો હતો.
મહિલા અનામત બેઠકોની જો વાત કરવામાં આવે તો સહકાર પેનલના બંને મહિલા ઉમેદવારો જ્યોતિબેન ભટ્ટ અને કિર્તીબેન જાદવનો વિજય થયો છે. સહકાર પેનલના જ્યોતિબેન ભટ્ટને 320 માંથી 290 અને કીર્તિબેન જાદવને 286 મત મળ્યા હતા જ્યારે સંસ્કાર પેનલના દીનાબેન બોઘાણીને માત્ર 38 મત જ મળ્યા. આ ઉપરાંત મળતી માહિતી મુજબ અન્ય 13 બેઠકોની મતગણતરીમાં પણ સહકાર પેનલના ઉમેદવારોનો ઝળહળતો વિજય થયો હતો અને તમામ 15 બેઠકો ઉપર સહકાર પેનલનો ભવ્ય વિજય પણ થયો હતો. સંસ્કાર પેનલનું ખાતું પણ ખોલ્યું ન હતું. રાજકોટ નાગરિક બેંકમાં 28 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ હતી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બે જૂથ જ્યોતિન્દ્ર મહેતા તથા તેના ભાણેજ સામસામે પેનલોમાંથી ચૂંટણી લડ્યા હતા પરિણામે આ ચૂંટણી અત્યંત રોમાંચક બની હતી.
સંસ્કાર પેનલે રેટ પીટીશન દાખલ કરી હતી કે ગમે તેમ કરીને જે ચૂંટણી છે તે ન થાય પરંતુ કોર્ટે પણ એ અરજીને ગ્રાહ્ય રાખી ન હતી. ગઈકાલે જે પરિણામો આવ્યા તેમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું અને મતદારોએ સહકાર પેનલને સમર્થન આપ્યું હતું. સહકાર પેનલના ઉમેદવારોને રાજકોટ શહેરના 199 માંથી સરેરાશ 150 કરતા વધુ મત મળ્યા હતા ત્યારે સંસ્કાર પેનલના એક પણ ઉમેદવારને પુરા 40 મત પણ મળ્યા નથી. ગુજરાતના પ્રથમ વખત કોઈ મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું જે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. બેંકના ડેલિકેટ મતદારોએ ગુસ્સાપૂર્વક મતદાન કર્યું હતું.
મળતી માહિતી મુજબ શહેરી વિસ્તારની 11 બેઠકો ઉપર સંસ્કાર પેનલના ઉમેદવારો લડતા હોવાથી તમામ 11 બેઠકોના પરિણામો ઉપર દરેકની નજર મંડાણી હતી પરંતુ આ 11 બેઠકો ઉપર પણ સંસ્કાર પેનલ ખાસ કાંઈ કરી શકી નહીં એટલું જ નહીં મતદારોએ આ જૂથને જાકારો પણ આપ્યો હતો. સંસ્કાર પેનલ દ્વારા નાગરિક બેંકમાં કથિત કૌભાંડો કર્યા હોવાની એક નહીં અનેક વાતો અને રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ મતદારો પર તેની અસર નકારાત્મક જોવા મળી અને મતદારોએ સહકાર પેનલને વિજય બનાવી.
સંઘની વિચારધારા અને શિસ્તનો વિજય : જિમ્મી દક્ષિણી
રાજકોટ નાગરિક બેંકનું કઉન્ટિંગ પૂર્ણ થઇ ચૂક્યુ છે અને સહકાર પેનલ અપેક્ષા મુજબ વિજય મેળવ્યો છે ત્યારે નાગરિક સહકારી બેંકના જિમ્મી દક્ષિણીએ જણાવ્યું હતું કે, બેંક સંઘની વિચારધારાને સમર્પિત છે. એટલું જ નહીં આ બેંક નાના અને મધ્યમ વર્ગ માટે હંમેશા ખેવના કરતી હોય છે. ત્યારે જે પરીણામો આવ્યા તેનાથી એકવાર ફરી વિશ્ર્વાસ વધ્યો છે. કારણ કે, આ જીત શિસ્ત અને અનુશાસનની સાથોસાથ નિશ્ર્વાર્થ સેવાની છે. ત્યારે આવનારા દિવસોમાં બેંકને એક આગવી ઓળખ અપાવવા અને સફળતાના સર્વોચ્ચ શિખર સર કરવા માટે તમામ સંભવત: પ્રયત્નો કરવામાં આવશે અને બેંકના લોકોને અને ખાતેદારોનો પણ વિકાસ થાય તે માટે બેંક હરહંમેશ કાર્યશીલ રહેશે.
