ક્યાં જઇને અટકશે સરધારા-પાદરીયાનો વિવાદ?
ગુનો નોંધાતા જયંતિ સરધારાએ કહ્યું-હું નિર્દોષ છું, ખોટુ કરનાર પોલીસને સજા મળવી જોઇએ
દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર, તા. 5
ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોવાનું જેના કારણે જાહેર થયું છે એ સરધારદધામના ઉપપ્રમુખ જયંતિ ભાઇ સરધારા અને જુનાગઢ એસઆરપી પીઆઇ સંજય પાદરીયા વચ્ચેના ડખ્ખામાં વિવાદ સમવાનું નામ લેતો નથી. પહેલા જયંતિભાઇ સરધારાએ પીઆઇ વિરૂધ્ધ હત્યાની કોીશષનો ગુનો દાખલ કરાવ્યો હતો. તેની સામે રજૂઆતો અને તપાસ બાદ પોલીસે હત્યાની કોશિષની કલમ રદ કરવા કોર્ટમાં રિપોર્ટ કર્યો હતો. એ પછી પીઆઇ પાદરીયા તાલુકા પોલીસમાં હાજર થતાં પોલીસ સ્ટેશનમાંથી જ તેને નિવેેદન લઇ મુક્ત કરાયેલ. હવે પીઆઇ સંજય પાદરીયાએ પણ જયંતિભાઇ સરધારા વિરૂધ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. આ સામે જયંતિભાઇએ પોલીસ કમિશનર કચેરીએ લેખિત રજૂઆત કરવા પહોંચીને મિડીયાને જણાયું હતું કે મારી સામે ખોટી રીતે ફરિયાદ દાખલ થઇ છે, હું નિર્દોષ છું, પોલીસે ખોટુ કર્યુ છે એટલે પોલીસને પણ આની સજા મળશે! પાદરીયા સરધારા વચ્ચે શરૂ થયેલો વિવાદ ક્યાં જઇને અટકશે તે સવાલ હાલ તો સો મણનો મની ગયો છે.
સંજલા હવે તારા ખોડલધામ અને પોલીસ ડિપાર્ટમેન્ટને કહેજે તને બચાવી લ્યે, હું તારુ મોત નિપજાવીને જ જંપીશ…પીઆઇએ નોંધાવેલી ફરિયાદમા ચોંકાવનારી વિગતો
વિગતો પર નજર કરીએ તો હરિ ધવા માર્ગ પર શ્રીરામ પાર્કમાં રહેતાં સરદારધામ સોૈરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિભાઇ કરસનભાઇ સરધારા વિરૂધ્ધ પણ પીઆઇ સંજય પાદરીયાએ ફરિયાદ દાખલ કરાવતાં તાલુકા પોલીસે ગઇકાલે જયંતિભાઇ સરધારા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. આ મામલે તે આવેદન પત્ર સાથે પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતાં. જયંતિ સરધારાએ કહ્યું હતું કે-મારા વિરૂધ્ધ ખોટી રીતે ગુનો દાખલ થયો છે, હું નિર્દોષ છું અને પોલીસે ઉતાવળ કરી નજરે જોનારા સાહેદોના નિવેદનો નોંધ્યા વગર કે તપાસ કર્યા વગર મારી સામે ગુનો નોંધી ખોટુ કર્યુ છે, પોલીસને પણ તેની સજા મળશે! જયંતિભાઇ સરધારાએ રજુઆતમાં જણાવ્યું છે કે પીઆઇ સંજય પાદરીયાએ શ્યામ પાર્ટી પ્લોટ ખાતે મને ધમકી આપી કહેલુ કે તું સમાજનો ગદ્દાર છો, હું નરેશભાઇ પટેલની સક્રિય ટીમમાં છું. માથાકુટ થઇ ત્યારે ત્યાં હાજર લોકોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.
ત્યાર પછી પાર્કિંગમાં ફરીથી મારી સાથે માથાકુટ કરી પિસ્તોલથી માથામાં ઇજા કરી હતી અને ઢીકાપાુટ માાર્ય હતાં. ત્યારે લોકોએ મને છોડાવ્યો હતો. સંજય પાદરીયાએ હવે મારી સામે ફરિયાદ દાખલ કરાવી છે તે ખોટી હોવાની રજૂઆત કરવા હું પોલીસ કમિશનર કચેરી ખાતે આવ્યો છું. પોલીસે તપાસ કર્યા વગર મારી સામે ગુનો નોંધી ખોટુ કર્યુ છે એટલે પોલીસને પણ તેની સજા મળશે. મેં નોંધાવેલી હત્યાની કોશિષની કલમની ફરિયાદમાં આ કલમ હજુ રદ નથી થઇ. પોલીસે રિપોર્ટ કર્યો છે અને હજુ સુધી કલમ યથાવત છે. મને તાત્કાલીક પોલીસ રક્ષણ આપવા પણ મેં માંગણી કરી છે.
સરધારો વધુમાં કહ્યું હતું કે મારા પર નરેશ પટેલે હુમલો નથી કરાવ્યો, પીઆઇ પાદરીયાએ હુમલો કર્યો હતો. મેં કહેલું કે તે નરેશ પટેલના ખાસ માણસ છે. સીસીટીવીમાં પાદરીયાના હાથમાં હથીયાર ન દેખાય તે સ્વાભાવીક છે, કારણ કે કેમેરા ખુબ દૂર હતાં. મારી સામે પુરાવા મળશે તો મારી ધરપકડ થાય તેની સામે વાંધો નથી. પણ બધુ ખોટુ ઉપજાવી કાઢેલુ છે. તેમ વધુમાં જયંતિભાઇએ રજૂઆત કરી જણાવ્યું હતું.
બીજી તરફ તાલુકા પોલીસ સ્ટેશનમાં સંજય પાદરીયાએ નોંધાવેલી ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે હું અમારા સંબંધી રમેશભાઇ ખુંટના પુત્રના લગ્ન પ્રસંગે કણકોટ રોડ પર શ્યામ પાર્ટી પ્લોટમાં ગયો હતો. રાતે સાડા આઠેક વાગ્યે જયંતિભાઇ સરધારા મને ત્યાં મળેલા. ત્યારે તેણે વાતચીતમાં ઉશ્કેરાઇ જઇ ખોડલધામ સંસ્થા વિશે ખરાબ બોલવાનું શરૂ કરેલુ અને કહેલું કે-ખોડલધામ સંસ્થામાં બધા ચોર જ છે…તેમ કહી તે ખોડલધામ સંસ્થાને ગાળો દેવા માંડેલ. મેં તેને આ સંસ્થા વિશે આવુ ન બોલો તેમ સમજાવતાં તેણે ઉશ્કેરાઇ જઇ પોલીસવાળા બધા ચોર છે પૈસા ખાઇને માલદાર થઇ ગયા છે. તેવું પોલીસ ડિપાર્ટમેન્ટ વિશે પણ બોલવા લાગતાં મેં આવુ બોલવાની ના પાડતાં તેણે વધુ ઉશ્કેરાઇ જઇ મારો કાંઠલો પકડી ધક્કો મારી મને પાટા માર્યા હતાં. અજાણ્યા વ્યક્તિઓ વચ્ચે પડતાં હું ત્યાંથી નીકળી ગયો હતો. એ પછી હું ચાલીને પાર્ટી પ્લોટના પાર્કિંગમાં જતાં જયંતિભાઇ તેની ગાડી લઇને આવતાં તેણે ગાડીમાંથી બહાર નીકળી ફરીથી કહેલુ કે ખોડલધામમાં બધા ચોર જ છે, તારા પોલીસ ડિપાર્ટમેન્ટવાળા કટકીબાજો અને લૂંટારા છે. તેમ કહી મને ખુબ ગાળો દેતાં અને મારી સાથે ઝપાઝપી કરતાં મેં સ્વબચાવ કર્યો હતો. ે વખતે જયંતિભાઇએ પહેરેલી રૂદ્રાક્ષની માળા તેને લાગી ગઇ હતી. છતાં મારા પર ખોટા આક્ષેપો અન ફરિયાદ કરી હતી. જતાં જતાં પણ તેણે મને કહેલું કે-સંજલા હવે તારુ આવી બન્યું છે, તારા ખોડલધામ અને પોલીસ ડિપાર્ટમેન્ટને કહેજે તને બચાવી લે, તારુ મોત નિપજાવીને જ હું શાંતિથી બેસીસ. તેવી ધમકી આપી તે જતાં રહ્યા હતાં. પોલીસ ડિપાર્ટમેન્ટ અને ખોડલધામ સંસ્થાનું નામ બદનામ ન થાય તે માટે મેં ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જયંતિભાઇએ મારા વિરૂધ્ધ આક્ષેપો કરી ફરિયાદ આપી હતી, જેથી મેં પણ સાચી તપાસ કરવાની રજૂઆતો અધિકારીઓને આપી હતી. એ પછી હવે મેં ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં સંજય પાદરીયાએ જણાવતાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી. એમ. હરિપરાના માર્ગદર્શન હેઠળ જી. કે. પરમારે ફરિયાદ દાખલ કરી હતી. પાદરીયા-સરધારાનો વિવાદ ક્યાં જઇ અટકશે એ સમય આવ્યે ખબર પડશે.
