આંધ્ર સરકારે વક્ફ બોર્ડ વિખેર્યુ
અમરાવતી, તા.1
આંધ્ર પ્રદેશ સરકારે એક મહત્વનો નિર્ણય લઈને રાજ્યના વક્ફ બોર્ડને ભંગ કરી દીધું છે. આ બોર્ડની રચના પૂર્વ જગનમોહન સરકારના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી. મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની ટીડીપી-જેએસપી સરકારે રાજ્ય વક્ફ બોર્ડને તાત્કાલિક અસરથી ભંગ કરી દીધું છે. રાજ્યના ન્યાય અને લઘુમતી કલ્યાણ મંત્રી ફારુકે કહ્યું છે કે રાજ્ય હાઈકોર્ટના આદેશ અનુસાર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જેની જાહેરાત કરતાં રાજ્યનાં અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી એન એમ ફારૂૂકે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર વકફ મિલકતોના સંરક્ષણ અને સંચાલન અને લઘુમતીઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. સ્થાનિક મીડિયા સાથે વાત કરતા ફારુકે કહ્યું કે સરકાર આ દિશામાં પગલાં લઈ રહી છે. તમામ પાસાઓની કાળજીપૂર્વક વિચારણા કર્યા બાદ અને હાઈકોર્ટના આદેશ બાદ, રાજ્ય સરકારે 21 ઓક્ટોબર, 2023થી તાત્કાલિક અસરથી પાછું ખેંચી લીધું છે.
રાજ્ય સરકાર દ્વારા ગઠન કરવામાં આવેલા બોર્ડનું નામ આંધ્ર પ્રદેશ રાજ્ય વક્ફ બોર્ડ હતું. હાલના આંધ્ર પ્રદેશ વક્ફ બોર્ડમાં કુલ 11 સભ્યો હતા, જેમાંથી ત્રણ ચૂંટાયા હતા અને બાકીના આઠ નામાંકિત થયા હતા. 30 નવેમ્બરના આદેશમાં, રાજ્ય સરકારે YSRC સરકાર હેઠળ રચાયેલા એપી રાજ્ય વક્ફ બોર્ડ પર કરવામાં આવેલી કાર્યવાહી વિશે માહિતી આપી છે. તેણે કહ્યું કે તે માર્ચ 2023 થી નિષ્ક્રિય છે.
શા કારણે કર્યું રદ્દ?
રાજ્ય સરકારના આ કદમ પાછળ અનેક કારણો જણાવવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારના અગાઉના GO 47 વિરુદ્ધ હાઈકોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેમાં GOની માન્યતા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. રાજ્યના કાયદા અને લઘુમતી કલ્યાણ મંત્રી એન મોહમ્મદ ફારુકે વક્ફ બોર્ડના વિસર્જનની પુષ્ટિ કરી છે. હાલના વકફ બોર્ડના વિસર્જન બાદ રાજ્ય સરકાર નવી રીતે બોર્ડની રચના કરી શકે તેવી અપેક્ષા છે.
