અરજી દાખલ કરતા કહ્યું મુસ્લિમ સમુદાય સામે ભેદભાવપૂર્ણ છે અને તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે
નવીદિલ્હી, તા. 4
સંસદ (લોકસભા અને રાજ્યસભા) દ્વારા એક દિવસ પહેલા જ પસાર કરાયેલા વકફ સુધારા બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદે વક્ફ સુધારા બિલને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે તે મુસ્લિમ સમુદાય સામે ભેદભાવપૂર્ણ છે અને તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના વ્હીપ મોહમ્મદ જાવેદ વક્ફ (સુધારા) બિલ 2024 પર સંયુક્ત સંસદીય સમિતિ (ઉંઙઈ) ના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ બિહારના કિશનગંજથી કોંગ્રેસના સાંસદ છે. તેમની અરજીમાં, તેઓએ દલીલ કરી છે કે આ કાયદો બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર), કલમ 25 (ધર્મ પાળવાની સ્વતંત્રતા), કલમ 26 (ધાર્મિક બાબતોનું સંચાલન કરવાની સ્વતંત્રતા), કલમ 29 (લઘુમતી અધિકારો) અને કલમ 300અ (સંપત્તિનો અધિકાર)નું ઉલ્લંઘન કરે છે. રસપ્રદ વાત એ છે કે, આ બિલ હજુ સુધી કાયદા તરીકે ઘડાયું નથી. વકફ સુધારા બિલને લોકસભા અને રાજ્યસભા બંને દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને હવે તે રાષ્ટ્રપતિની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. બાર અને બેન્ચના અહેવાલમાં જણાવાયું છે કે કોંગ્રેસના સાંસદ જાવેદે એડવોકેટ અનસ તનવીર દ્વારા આ અરજી દાખલ કરી છે. અરજી મુજબ, કાયદો મુસ્લિમ સમુદાય સામે એવા પ્રતિબંધો લાદીને ભેદભાવ કરે છે જે અન્ય ધાર્મિક દાન વહીવટમાં અસ્તિત્વમાં નથી. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે હિન્દુ અને શીખ ધાર્મિક ટ્રસ્ટો અમુક હદ સુધી સ્વ-નિયમનનો આનંદ માણે છે, પરંતુ વકફ એક્ટ, 1995 (વકફ એક્ટ) માં કરવામાં આવેલા સુધારાથી વકફ બાબતોમાં રાજ્યનો હસ્તક્ષેપ વધે છે.
