મનપામાં આધારકાર્ડની 15 કીટો ચાલુ વધુ 8 લેવા માટે તજવીજ
રાજકોટ, તા. 27
રાજકોટ મહાનગરપાલિકા પર એક નહીં અનેક દોષના ટોપલાઓ છે. મહત્વનું એ છે કે આજે છેલ્લા ઘણા સમયથી આધારકાર્ડને લઈને લોકોએ ઘણી હેરાનગતિનો સામનો કરવો પડે છે એક તરફ રાજ્ય સરકારે ઓપરેટરોને સસ્પેન્ડ કરી દીધા તો સામે આધાર કાર્ડ ને લગતી જે કામગીરી થવી જોઈએ તેના ઉપર બ્રેક લાગી ગઈ છે. ગઈકાલની વિકટ પરિસ્થિતિ પરી રાજકોટ મહાનગરપાલિકામાં જોવા મળી જેમાં લોકોની લાંબી લાઈનો કચેરી ખોલતાની સાથે જ જોવા મળી હતી પરંતુ સર્વર નો પ્રશ્ન હોવાના કારણે હાલ મહાનગરપાલિકા ખાતે આવેલા લોકોએ કામ કર્યા વગર ઘરે પરત ફરવું પડ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ અંગે રાજ્ય સરકારમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવતી હતી કે જે ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેને પરત ફરજ ઉપર લેવામાં આવે ત્યારે 18 ઓપરેટરો પૈકી 12 ને ફરી વખત ફરજ ઉપર બોલાવી લેવામાં આવ્યા છે. હાલ મહાનગરપાલિકા પાસે 15 કીટ ચાલુ છે અને ભવિષ્યમાં વધુ આઠ કીટ ચાલુ કરવાની યોજના ઘડવામાં આવી છે જે માટે નવી ભરતી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે અને તેનો તમામ રિપોર્ટ ગાંધીનગર સુપ્રત કરી દેવામાં આવ્યો છે ત્યારે કદાચ એક સપ્તાહની અંદર અન્ય ઓપરેટરોને હાલ ફરજ ઉપર બોલાવી લેવામાં આવશે જેથી અત્યારે આધારની કામગીરીને લઈને જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેના પર પૂર્ણવિરામ મૂકવામાં આવશે અને લોકોના પ્રશ્નો અને કામ પણ ઝડપભેર પૂર્ણ થશે.
રાજકોટ મહાનગરપાલિકા માં છેલ્લા ઘણા દિવસોથી જન્મ મરણના દાખલા કાઢવા તથા નવી નોંધણી સહિતની કામગીરીઓ બંધ થઈ ગઈ છે કહી શકાય કે મૃત અવસ્થામાં જોવા મળે છે ત્યારે ગઈકાલે એક પણ દાખલો નીકળ્યો ન હતો અને લોકોને ખૂબ મોટી લાંબી લાઈનો પણ જોવા મળી હતી. લોકોના ભારે વિરોધ વચ્ચે એ વાત માલુમ પડી કે, સમગ્ર રાજ્યમાંથી હાલ સર્વર ડાઉન હોવાના પગલે હેરાનગતિ વેઠવી પડી છે.
આધાર કાર્ડ અને હવે જન્મ-મરણની તમામ કામગીરી પણ કેન્દ્ર અને રાજય સરકારના પોર્ટલ તથા વેબસાઇટ પર થાય છે. આ કારણે મનપાની સિસ્ટમ લાચાર બની જતા ત્રણ દિવસથી નગરજનો કલાકો સુધી લાઇનમાં ઉભા રહે છે. ઘણા ખરા કિસ્સામાં અરજદારોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, આ અંગે કોઈ ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં નહીં આવે અથવા તો સરકાર કોઈ યોગ્ય વ્યવસ્થા ઉભી નહીં કરે તો લોકોને ઘણી હેરાનગતિનો સામનો કરવો પડશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
જન્મ-મરણના દાખલાની તમામ પ્રકારની કામગીરી હવે રાજય સરકારના ઇ-પોર્ટલ પર કરવામા આવે છે. હવે મહાપાલિકાના નહીં પરંતુ રાજય સરકારના જન્મ-મરણના દાખલા નીકળે છે. પૂરા રાજયમાં આ માટે ઇ-પોર્ટલ પર ડેટા અપલોડ કરવામાં આવે છે. હવે દિવાળી બાદથી આ સિસ્ટમ ઘણી ધીમી પડી ગઇ છે. તો ગઇકાલે સર્વર સંપૂર્ણ ડાઉન હોય, દાખલા નીકળી શકયા ન હતા. આ કારણે પણ બુધવારે અરજદારોનો વધુ ધસારો હતો. પરંતુ સવારથી અરજદારો પહોંચી જવા છતાં દાખલાનું કામ શરૂ થતું ન હતું. લોકો સતત પુછપરછ કરતા હતા. આ કામ શરૂ જ ન થતા અને આજે શરૂ થશે કે નહીં તેવી કોઇ ખાતરી ન મળતા અંતે અધિકારીઓની સૂચનાથી કેન્દ્ર બહાર બોર્ડ મૂકાયું હતું.
ઇ-ઓળખ પોર્ટલ બંધ હોવાના કારણે ગઈકાલે જન્મ-મરણના દાખલાનું કામ બંધ રહેશે અને આગળની સૂચના મળ્યા બાદ કામ શરૂ કરવામાં આવશે તેવી નોટીસ મૂકવામાં આવી હતી. આથી બે દિવસથી ધકકા ખાતા અનેક નાગરિકો હેરાન થવા સાથે રોષે પણ ભરાયા હતા. હાલ વિદ્યાર્થીઓની જુદી જુદી યોજનાઓ, ફી સહાય, રેશનકાર્ડ, ઇ-કેવાયસી સહિતની કામગીરી ચાલુ હોય, જન્મ-મરણ અને આધાર કેન્દ્રમાં રોજે રોજ ભીડ રહે છે. આવા સમયે જ બંને સેવા ખોરવાઇ છે.ગ્રાઉન્ડ ફલોર પર બંને બિલ્ડીંગ બહાર સેંકડો લોકો હેરાન થઇ રહ્યા છે. આથી હવે સરકાર કક્ષાના આ પ્રશ્ર્નોનો ઉકેલ કયારે આવશે અને કોણ લાવશે તે ચર્ચા મનપાના ખાલી જેવા દેખાતા બિલ્ડીંગમાં થઇ રહી છે.
12 જુના ઓપરેટરો ને કરાયા રીવોક
રાજ્ય સરકાર દ્વારા અનેક ઓપરેટરોને કારણોસર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા જેમાં રાજકોટના કુલ 18 ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા જેમાંથી સરકારે ફરી 12 ઓપરેટરોને રીવોક કર્યા છે એટલે કે તેઓને ફરી ફરજ ઉપર પરત બોલાવવામાં આવ્યા છે હાલ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગમે તે થાય પરંતુ જ્યાં સુધી સર્વર નો પ્રશ્ન ઉકેલવામાં આ નહીં આવે ત્યાં સુધી આ રીતે જ અરજદારોએ હેરાન થવું પડશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
