નવી ભરતી-નવા ફાયર સ્ટેશનો ઉભા કરવા માટે કામગીરી શરૂ : સ્ટેન્ડીંગમાં મંજુર થયેલ દરખાસ્તની અમલવારી
રાજકોટ,તા.25
ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકા પર કાળી ટીલી લાગી ગઈ છે. કોઈપણ વિભાગનાં કર્મચારીઓ કે પછી કહી શકાય કે અધિકારીઓ કામ કરવા માટે જે ઉત્સાહ હોવો જોઈએ તે જોવા મળતો નથી. જેની પાછળનું સૌથી મોટુ કારણ એ છે કે હવે કોઈપણ નવા કામ કરવા માટે અધિકારીઓને ખાસ્સો એવો ડર લાગી ગયો છે અને પરિણામે સ્વરૂપે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના અનેકવિધ કામો પેન્ડીંગ પડેલા છે. આ માટે મનપાના ટોચના અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશ્નર દેવાંગ દેસાઈએ પણ આ વાતની પૃષ્ટિ કરતાં જણાવ્યું છે કે હાલ ફાયર વિભાગ અને ટાઉનપ્લાનીંગ વિભાગમાં જે ઝડપથી કાર્યો થવા જોઈએ તે થઈ શકતા નથી. વાત અહિં પુરી થતી નથી. ગોજારા અકસ્માત બાદ પણ મનપાનું ફાયર વિભાગના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરવામાં સહેજ પણ ડર્યા નહીં અને અનિલ મારૂ જેવા અધિકારીએ લાંચ લીધી. હવે રાજકોટ જે ગતિએ વિકાસ કરી રહ્યું છે તેને ધ્યાને લેતાં ફાયર વિભાગની કામગીરીને જો ઝડપી અને તિવ્ર બનાવવી હોય તો વધુ કર્મચારીઓની ભરતી કરવી ખુબ જરૂરી છે એટલું જ નહીં નવા ફાયર સ્ટેશનો પણ ઉભા કરવા આવશ્યક છે. આ વાતની ગંભીરતા રાજકોટ મહાનગરપાલિકાએ પણ લીધી છે અને ભરતી પ્રક્રિયા શરૂ કરવા માટેનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. સાથોસાથ છ નવા ફાયર સ્ટેશન અને હાલના પ્રર્વતીત બે સ્ટેશનો માટે નવિનીકરણ કરવાનો નિર્ણય લીધેલો છે.
એક મહિના પૂર્વે મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ બેઠકમાં નવા ફાયર સ્ટેશન ઉભા કરવા અને નવી ભરતી કરવા માટે મંજુરી આપી દેવામાં આવી હતી. જેની અમલવારી રાજકોટ મહાનગરપાલિકાએ હાથ ધરી છે. એટલું જ નહીં કનક રોડ તેમજ બેડીપરા સહિતના બે ફાયર સ્ટેશનનું નવિનીકરણ કરવા માટે તખ્તો પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ અંગે મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિશિપલ કમિશનર પણ સ્વપ્નીલ ખરેએ જણાવ્યું હતું કે હાલ જે રીતે શહેરની વસ્તી વધી રહી છે તેને ધ્યાને લઈ નવા ફાયર સ્ટેશન ઉભા કરવામાં આવશે અને તે માટે જગ્યા શોધવા માટેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે અને તે માટેના ટેન્ડર પણ આગામી સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે. હવે મહત્વની વાત તો એ છે કે મહાનગરપાલિકા નવા ફાયર સ્ટેશન તો ઉભા કરી લેશે પરંતુ તેને ચલાવવા માટે જે કર્મચારીઓ તથા અધિકારીઓની જે જરૂરીયાત હોવી જોઈએ તેની પુરતી કેવઈ રીતે થશે ? મતલબ એ છે કે નવી ભરતી કયારે હાથ ધરવામાં આવશે આ અંગે અનેક તર્કવિર્તક થઈ રહયાં છે પરંતુ મહાનગરપાલિક દ્વારા હાલન તબકકે સાડા ચારસો કર્મચારીઓની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિધ્ધ કરી દેવામાં આવી છે.
ટીઆરપી અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર એનએનઓસી મુદતે પહેલ અને ઝંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં હજુ પણ 35 થી વધુ અરજીઓ રાજકોટ મનપામાં એનઓસી માટે પેન્ડીંગ પડેલી છે પરંતુ કયાંકને કયાંક અપુરતા સ્ટાફ અથવા તો કહી શકાય કે મહાનગરપાલિકાના અધિકારીઓનું કામ ન કરવાનું વલણ કામને ડહોળી રહયું છે ત્યારે જોવાનું એ રહ્યું કે સમયસર ભરતી કરવામાં આવે તો અનેક પ્રશ્ર્નો જે ઉભા થયા છે તેનુ નિવારણ આવી શકે.
ભરતી પ્રક્રિયા માટે તૈયારીઓ કરાઈ શરૂ
રાજકોટના વિકાસને ધ્યાને લઈ મહાનગરપાલિકાએ સાડા ચારસો લોકોની નવી ભરતી માટેનુ મહેકમ મંજુર કર્યું છે જે માટે અનેક લોકોની અરજીઓ પણ આવી છે. હાલ આ ભરતી પ્રક્રિયા માટે જે પ્રેકટીકલ પરીક્ષા લેવામાં આવી જોઈએ તે શરૂ કરી દેવામાં આવી છે. મહાનગરપાલિકાના સંબંધીત વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર ડીસેમ્બર સુધીમં ફાયર વિભાગની ભરતી માટે લેવામાં આવનાર તમામ કસોટી પૂર્ણ કરી દેવામાં આવશે અને વર્ષ 2025ની શરૂઆતમાં જ નવા સ્ટાફની ભરતી કરવામાં આવે તેવું આયોજન હાલ હાથ ધરવામાં આવ્યું છે.
NOC માટે પેન્ડીંગ અરજીઓનું ઝડપભેર નિકાલ થાય તેની ઉઠી માંગ
છેલ્લા ઘણા સમયથી ફાયર એનઓસીને લઈને અનેકવિધ ફરિયાદો ઉઠવા પામી છે જેમાં હજુ પણ 35થી વધુ અરજીઓને ફાયર એનઓસી મળ્યું નથી ત્યારે આવનારા દિવસોમાં તમામ અરજીઓનો ઝડપભેર નિકાલ થાય તે માટેની રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ એનકેન પ્રકારે વિભાગના અધિકારીઓ દ્વારા ફાયર એનઓસી માટેની જે કામગીરી કરવામાં આવી જોઈએ તે કરાતી ન હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
