કાચા બિલ પર વેપાર કરતા હોવાની વિભાગને મળી બાતમી : અન્ય જવેલર્સ પણ GSTની રડારમાં
રાજકોટ, તા. 29
છેલ્લા એક સપ્તાહથી સેન્ટ્રલ એજન્સીના ધામા રાજકોટ અને મોરબી ખાતે જોવા મળી રહ્યા છે ત્યારે ગઈકાલે ધનતેરસના દિવસે સોની બજારમાં ત્રણ સોની વેપારીઓ ઉપર સ્ટેટ જીએસટીની ટીમ રાજકી હતી જે અંગે જ્વેલર્સ માં ભારે હડકંપ અને ફફડાટ પણ મચી ગયો હતો. મળતી માહિતી મુજબ સોની બજારમાં લોકો ધનતેરસનું મુરત સાચવવા ખરીદી કરવા આવ્યા તો બીજી તરફ જીએસટી વિભાગે ગઈકાલે સોની બજારમાં જ સવારથી દરોડા અને ઝવેરીઓ ની ઊંઘ હરામ કરી દીધી. મળતી માહિતી મુજબ તંત્ર દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા તેનાથી વેપારી આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સોની બજારમાં આવેલી જે.કે અને આર.કે સહિતની ત્રણ સોની પેઢીઓ પર બરોડા પાડવામાં આવ્યા હતા એટલું જ નહીં આ તપાસ હજુ આજ બપોર સુધી ચાલે તો પણ નવાઈ નહીં. જીએસટી વિભાગના ટોચના અધિકારીઓના જણાવ્યા અનુસાર શહેરની સોની બજારમાં ઘણા ખરા વેપારીઓ કાચી ચિઠ્ઠી ઉપર વેચાણ કરતા હતા અને કરચોરી કરતા હોવાની બાતમી તંત્રને મળી હતી જેથી જીએસટી વિભાગે ત્રણ સોની વેપારી પેઢી ઉપર દરોડા પાડી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. મળતી માહિતી મુજબ સોની બજારમાં કઈ પેઢી ઉપર દરોડા પાડવામાં આવ્યા અને જવાબદાર અધિકારીઓ કોણ છે તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી પરંતુ એ વાત સ્પષ્ટ છે કે ગઈકાલે જે જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે તેનાથી અનેક વેપારીઓ ના નામ પણ ખુલ્યા છે તેમના દ્વારા કોની પાસેથી માલ લેવામાં આવતો હતો અને કાચી ચિઠ્ઠી ઉપર કોને માલ વેચવામાં આવતો હતો તેની ગંભીરતાપૂર્વક હાલ તપાસ ચલાવવામાં આવી રહી છે.
આ તપાસ દરમિયાન અનેકવિધ ઘટ્ટ સ્પોટ થાય તેવા હાલ સંકેતો પણ મળી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું જીએસટી વિભાગ હજુ પણ આવનારા દિવસોમાં આ પ્રકારે જ તપાસ હાથ ધરશે કે કેમ ? દિવાળી તહેવાર મુખ્યત્વે સોની વેપારીઓ માટે અત્યંત ફાયદો કરાવતું હોય છે ત્યારે આગામી દિવસોમાં શું આ પ્રકારની જ જો કાર્યવાહી કરવામાં આવશે તો સોની વેપારીઓને ઘણી ખરી નુકશાનીનો પણ સામનો કરવો પડી શકે તેમ છે પરંતુ વાસ્તવિકતા એ છે કે હાલ સોની વેપારીઓ પણ ખોટી રીતે ગેરરીતિઓ હાજરતા હોય છે અને ટેક્સ ન ભરવો પડે તેને ધ્યાને લઈ હાલ બિલ વગરનો માલ પધરાવી દેતા હોય છે અને માલની ખરીદી પણ કરતા હોય છે. હજુ સુધી સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા એ બાબતની કોઈ ચોખવટ કરવામાં આવી નથી કે કેટલી માત્રામાં બેનામી વ્યવહારો ઝડપાયા છે અને કેટલી ટેક્સ ચોરી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ અંગે હજુ પણ બે થી ત્રણ દિવસ તપાસ ચાલે તો નવાઈ નહીં ત્યારે કહી શકાય કે સોની વેપારી વર્ગમાં ધનતેરસ તો બગાડી પણ સામે દિવાળી પણ બગડશે. હાલ અનેકવિધ વિભાગો પર સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટીની સાથો સાથ આવકવેરા વિભાગ નજર રાખીને બેઠું છે કે કઈ પેઢી દ્વારા કેટલી કરચોરી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ સોની બજાર ખાતે આવેલા અનેક સોની વેપારીઓ કરની ભરપાઈ કરવા માટે બિલ વગરના માલ સામાનની લે વેચ કરતા હોય છે પરિણામ સ્વરૂપે સરકારને કરની જે આવક થવી જોઈએ તેમાં ખૂબ મોટી નુકશાની થતી હોવાનું માલુમ પડતા જ હવે સેન્ટ્રલ એજન્સીને તાકીદે પગલા લેવા જણાવવામાં આવ્યું છે.
