સોમનાથ દાદાને શીશ ઝુકાવી કોડીનાર અને ચાપરડાના કાર્યક્રમમાં આપશે હાજરી
રાજકોટ, તા. 6
વડાપ્રધાન મોદી ફરી વખત ત્રણ દિવસની મુલાકાતે ગુજરાત આવી રહ્યા છે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આજથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે છે જેમાં તેઓ તારીખ 8 શનિવારના રોજ અમદાવાદથી સોમનાથ જતા હિરાસર એરપોર્ટ ખાતે ટૂંકુ રોકાણ કરે તેવી હાલ સંભાવના વ્યક્ત થઈ રહી છે અને જિલ્લા વહીવટી તંત્ર પણ ખાસ તૈયારીઓમાં લાગી ગયું હોય તેવા નિર્દેશો મળી રહ્યા છે. હિરાસર એરપોર્ટની ટ્રાન્ઝીટ વિઝીટ કરનાર ય જીલ્લા વહીવટી તંત્ર એલર્ટ બની જવા પામેલ છે.કેન્દ્રીય મંત્રી અમિત શાહની આ ટ્રાન્ઝીટ વિઝીટ સંદર્ભે મહેસુલી અધિકારીઓએ ગઈકાલે હિરાસર એરપોર્ટ ખાતે દોડી જઈ એરપોર્ટ મેનેજમેન્ટ અને સિકયોરીટી સાથે બેઠક યોજી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદથી યાત્રાધામ સોમનાથ જતા પૂર્વે તા.8 ને શનિવારે રાજકોટના આંતર રાષ્ટ્રીય હિરાસર એરપોર્ટ પર સવારનાં 11-45 કલાકે હવાઈ માર્ગે આવી પહોંચનાર છે.હિરાસર એરપોર્ટ ખાતે તેઓ 10 મીનીટનું રોકાણ કરી હેલીકોપ્ટર મારફત સોમનાથ પહોંચશે જયાં તેઓ દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શિશ ઝુકાવશે.
કેન્દ્રીય મંત્રી અમિત શાહ આ પ્રવાસ દરમ્યાન તેઓ કોડીનાર અને ચાંપરડાના કાર્યક્રમમાં પણ હાજરી આપનાર છે.કોડીનાર અને ચાંપરડાનાં કાર્યક્રમની સાથે તેઓ જુનાગઢની પણ મુલાકાત લેનાર છે.જે બાદ તેઓ હેલીકોપ્ટર મારફત ફરી હિરાસર એરપોર્ટ ખાતે આવી ત્યાંથી એરક્રાફટમાં હવાઈ માર્ગે અમદાવાદ જવા રવાના થશે. કેન્દ્રીય ગૃહમંત્રીની આ મુલાકાત સંદર્ભે જીલ્લા વહીવટી તંત્ર તડામાર તૈયારીઓમાં ગુંથાઈ જવા પામેલ છે.
અહીં ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ જામનગર, સોમનાથ અને સાસણની મુલાકાત લીધી હતી આ સમયે વડાપ્રધાને પણ હિરાસર એરપોર્ટની ટ્રાન્ઝીટ વિઝીટ કરી હતી.જે બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદથી સોમનાથ જતા પૂર્વે હિરાસર એરપોર્ટની ટ્રાન્ઝીટ વિઝીટ કરી 10 મીનીટનું રોકાણ કરનાર હોય જીલ્લા કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓનો કાફલો હિરાસર એરપોર્ટ ખાતે પહોંચી એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓ સાથે તૈયારીઓની સમીક્ષા યોજાશે.
