લીંબડીના શીયાણી ગામના કુટુંબીજનો સોમનાથ પિતૃકાર્ય માટે જવા નીકળ્યા ત્યારે ચોટીલા નજીક આપાગીગાના ઓટલા પાસે બોલેરો પીકઅપ અને ટ્રક ટકરાયા: 18ને ઇજા
ત્રણ વૃધ્ધાએ ઘટના સ્થળે દમ તોડ્યો: એક વૃધ્ધાનું રાજકોટમાં મૃત્યુ: રેથરીયા કોળી પટેલ પરિવારજનોમાં શોકની કાલીમા
દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર, તા. 26
જે માણસ જન્મ લે તેનું મૃતયુ ચોક્કસ નક્કી હોય છે. પરંતુ પરલોકનું તેડુ ક્યારે આવી જાય, કાળ ક્યાં કયારે કેવી રીતે ભેટી જાય તેની કોઇને જાણ હોતી નથી. કંઇક આવી જ એક ઘટના લીંબડીના શીયાણી ગામના કોળી પરિવારના લોકો સાથે બની છે જેમાં ચોટીલા નજીક બોલેરો પીકઅપ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બોલેરોમાં બેઠેલા આ પરિવારના વૃધ્ધા કે જે સગા દેરાણી જેઠાણી થાય છે તેમના મૃત્યુ થતાં કલ્પાંત સર્જાયો હતો. નાનપણમાં જ અવસાન પામેલા એક બાળકની પાછળ પિતૃકાર્ય કરવા માટે આ પરિવારજનો સોમનાથ ખાતે જવા નીકળ્યા તયારે ચોટીલા નજીક આપાગીગાના ઓટલા તરીકે ઓળખાતી જગ્યા આ કાળમુખો અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર સગા ભાઇઓએ પોતાના પત્નિઓને ગુમાવી દીધા હતાં. જ્યારે કુટુ઼બના બીજા અઢાર લોકોને ઇજા પહોંચી હતી. જેમાં લીંબડીના શીયાણી ગામેથી ગીર સોમનાથ જઇ રહેલી બોલેરો પીકઅપ ગાડી આડે રોડ પર ઓચીંતો ટ્રક આવી જતાં બંને વાહનો ધડાકાભેર અથડાતાં મરણચીસો ગાજી ઉઠી હતી.
આ કાળમુખા જીવલેણ અકસ્માતની વિગતો પર નજર કરીએ તો આ અકસ્માતમાં લીંબડીના શીયાણી ગામના પાંસઠ વર્ષના મંજુબેન ઘનશ્યામભાઇ રેથરીયા, અડસઠ વર્ષના ગોૈરીબેન પાંચભાઇ રેથરીયા, સાંઇઠ વર્ષના ગલાલબેન કાળુભાઇ રેથરીયાના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતાં. જ્યારે સિત્તેર વર્ષના મગજીબેન ગોબરભાઇ રેથરીયા જે આ ત્રણેયના સગા જેઠાણી હતાં તેમનું રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા બાદ મૃત્યુ થતાં આ ઘટનાનો કુલ મૃત્યુ આંક 4 થયો હતો. અકસ્માતને પગલે રેથરીયા પરિવારજનોમાં કાળો કલ્પાંત સર્જાયો હતો. બનાવને પગલે 108, પોલીસ, એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સ્થળ પર મૃત્યુ પામનાર ત્રણ વૃધ્ધાઓના મૃતદેહોના પંચનામા કરી ચોટીલા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. બાકીના ઘાયલોને રાજકોટ વધુ સારવાર માટે રીફર કરવા તજવીજ કરી હતી.
આ બનાવમાં વધુમાં જાણવા મળેલી વિગતો અનુસાર અકસ્માતમાં કાળનો કોળીયો બનેલા મંજુબેન ઘનશ્યામભાઇ રેથરીયાના પુત્રનું નાનપણમાં જ અવસાન થઇ ગયું હતું. તેનું પિતૃકાર્ય કરવાનું પરિવારજનોએ નક્કી કર્યુ હોઇ અને આ કાર્ય સોમનાથ ખાતે આજે મંગળવારે કરવાનું હોઇ રાતે રેથરીયા પરિવારના શીયાણી અને બાજુના દેવળીયા ગામે રહેતાં 25 જેટલા કુટુંબીજનો પોતાની જ બોલેરો પીકઅપ ગાડીમાં બેસીને સોમનાથ જવા માટે રવાના થયા હતાં. રાતે સાડા દસેક વાગ્યે શીયાણીથી નીકળ્યા બાદ સાડા અગિયાર આસપાસ તેઓ ચોટીલાથી આગળ આપાગીગાના ઓટલા નજીક પહોંચ્યા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણના ઘટના સ્થળે અને એક વૃધ્ધાનુ઼ રાજકોટમાં મૃત્યુ થયું હતું. જ્યારે અકસ્માતમાં ઇજા પામનારા બીજા અઢાર સદસ્યોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, જયેન્દ્રસિંહ જાડેજા, ભાવેશભાઇ મકવાણા, તોેફિકભાઇ જુણાચ, ધર્મેન્દ્રભાઇ હુદડે ચોટીલા પોલીસને જાણ કરી હતી.
સિવિલ હોસ્પિટલ રાજકોટ ખસેડાયેલા ઇજાગ્રસ્તોમાં બોલેરો પીકઅપના ચાલક દશરથભાઇ ગોબરભાઇ રેથરીયા તથા સાથેના ભુપતભાઇ રેથરીયા, ગણપતભાઇ કાળુભાઇ રેથરીયા, ચીકાભાઇ, રમેશભાઇ ઘનશ્યામભાઇ રેથરીયા, રંજનબેન ખોડાભાઇ રેથરીયા, રાહુલભાઇ ખોડાભાઇ રેથરીયા, રમેશભાઇ ઘનશ્યામભાઇ રેથરીયા, રાહુલ ખોડાભાઇ રેથરીયા, વિશાલ રાજુભાઇ રેથરીયા, માવજીભાઇ કાળુભાઇ રેથરીયા, બટુકભાઇ ગંગારામભાઇ રેથરીયા, ઘનશ્યામભાઇ લક્ષમણભાઇ રેથરીયા, કરમશીભાઇ દેવાભાઇ રેથરીયા, માજુબેન કાળુભાઇ રેથરીયા, ગોબરભાઇ લક્ષમણભાઇ રેથરીયા અને ગીતાબેન દશરથભાઇ રેથરીયાનો સમાવેશ થાય છે. આ તમામને નાની મોટી ઇજાઓ પહોંચી હોઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ બનાવની વધુ માહિતી અનુસાર આ અકસ્માતમાં કાળનો કોળીયો બનેલા મગજીબેન રેથરીયાને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. તેમનો પુત્ર દશરથભાઇ વાહન હંકારી રહ્યો હતો.
જ્યારે ગલાલબેન રેથરીયાને સંતાનમાં ત્રણ પુત્ર છે, જે પૈકી એક પુત્ર અમદાવાદ પોલીસમાં ફરજ બજાવે છે. જ્યારે મંજુબેન રેથરીયાને સંતાનમાં એક પુત્ર અને ગોૈરીબેન રેથરીયાને સંતાનમાં એક પુત્રી તથા બે પુત્ર છે. આ ચારેય સગા દેરાણી-જેઠાણી થતાં હતાં. ચારેયના પતિ અને અન્ય એ ભાઇ ખોડાભાઇ રેથરીયા મળી કુલ પાંચ ભાઇઓના કુટુંબમાં ચાર સગા ભાઇઓએ પોતાના પત્નિઓને એક સાથે ગુમાવી દેતાં પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો છે. ચોટીલા પોલીસે આ અકસ્માત અંગે જરૂરી કાર્યવાહી કરી હતી. એક જ કુટુંબના ચાર ચાર વૃધ્ધ સદસ્યો દેરાણી જેઠાણીની એક સાથે અંતિમયાત્રાને પગલે કરૂણ દ્રશ્યો સર્જાયા હતાં.
