ટીપી શાખાનું વધુ એક પાપ છાપરે ચઢીને પોકારી શકે છે

રહેણાક પ્લોટમાં 7 માળનું કોમર્શિયલ ખડકી દેતા વિવાદ

નાનામવા રોડ પર આવેલા નહેરુ નગર સોસાયટીના રહેવાસીઓ હાઇકોર્ટના શરણે : ગુરુવારે મનપાના અધિકારીઓને તેડું

રાજકોટ, તા. 25
રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલું છે ત્યારે ફરી એક વિવાદ આખે વળગ્યો છે. નાનામવા વિસ્તારમાં આવેલા નહેરુ નગર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી માં રહેણાક પ્લોટમાં કોમર્શિયલ બાંધકામ ખડકી દેવાતા વિવાદ વકર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અંગે 2022 માં પૂર્વ ટાઉન પ્લાનિંગ અધિકારી સાગઠીયા દ્વારા એનઓસી વગર જ મંજૂરી આપી દીધી હોવાનું હાલ ચર્ચાઇ રહ્યું છે.
એટલું જ નહીં જે માહિતી સામે આવી છે તેમાં 2022 માં મહાનગરપાલિકા તરફથી રિવાઇઝ પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો જેમાં સોસાયટીએ કોઈપણ એનઓસી આપ્યું ન હોવાનું માલુમ પડ્યું છે.
ખરેખર આ સમગ્ર હકીકત શું છે તે અંગે જ્યારે પ્લોટના માલિક મહેન્દ્રભાઈ ગજેરા સાથે વાત કરવામાં આવી તો તેઓએ જણાવ્યું કે આ મુદ્દો મારા કરતાં વધુ બે બોડી વચ્ચેનો છે એટલે કે જૂની બોડી કે જે ચંદુભાઈ કથીરિયા અને નવી બોડી એટલે કે રસિકભાઈ બાલધા તે બંને વચ્ચેના વિવાદમાં આ મુદ્દો સામે આવ્યો છે. પરંતુ બીજી તરફ એવી પણ વિગતો સામે આવી છે કે સોસાયટીના રહેવાસીઓએ આ અંગે સીએમ ઓફિસમાં પણ ફરિયાદ કરી હતી અને જેના ભાગરૂૂપે હાલ તંત્ર સફાળે જાગ્યું છે અને વેસ્ટ ઝોન દ્વારા આ અંગે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ મળતી માહિતી મુજબ ગુરૂૂવારના રોજ મહાનગરપાલિકાના અધિકારીઓને પણ હાઇકોર્ટમાં બોલાવવામાં આવ્યા છે ત્યારે આ અંગે શું ચર્ચા વિચારણા થાય છે તે તો આવનારો સમય જ જણાવશે પરંતુ એ વાત તો સ્પષ્ટ છે કે ફરી એક વખત ટાઉન પ્લાનિંગ વિભાગનું પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે. એક નહીં અનેક ભ્રષ્ટાચારો સામે આવી રહ્યા છે ત્યારે નહેરુનગર કો ઓપરેટિવ સોસાયટીના લોકોએ આ અંગે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા કારણકે તેઓને અધિકારીઓ પાસેથી કોઈ યોગ્ય જવાબ મળતો ન હોવાનું માલુમ પડતા પીએમઓ અને સીએમઓ પોર્ટલ પર ફરિયાદ દાખલ કરવામાં આવી.
નાના મોવા મેઇન રોડ ઉપર આવેલા નેહરુનગર કોપરેટીવ હાઉસિંગ સોસાયટી ના સૂત્રોના જણાવ્યા અનુસાર સોસાયટીના જે નિયમો છે તે મુજબ રહેણાંક હેતુનો પ્લોટ હોવાથી તેમાં રહેણાંક મકાન બનાવી શકાય છતાં કોઈપણની શેહશરમ રાખ્યા વગર પ્લોટના માલિકે વીએસ એન્ટરપ્રાઇઝની પેઢી હેઠળ કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું જે બાદ લવાદ કોર્ટમાં આ અંગે કેસ પણ કરવામાં આવ્યો.
કોર્ટ દ્વારા સ્ટેટસ કો લાગુ કરવામાં આવ્યો છતાં પ્લોટના માલિકે તેનો અનાદાર કરી બાંધકામ ચાલુ રાખ્યું હતું જે ખરા અર્થમાં અયોગ્ય છે. કહેવત છે કે એક હાથે તાલી ન વાગે જો સોસાયટીનું કેવું સાચું હોય તો મહાનગરપાલિકાના સંબંધિત વિભાગ એટલે કે ટાઉન પ્લાનિંગ વિભાગ ની પણ આ કિસ્સામાં સંડોવણી ખોલી શકે છે તેમાં કોઈ શંકા નથી.
એટલું જ નહીં ભૂતપૂર્વ ટાઉન પ્લાનિંગ અધિકારી મનસુખ સાગઠીયા દ્વારા કરવામાં આવેલી કામગીરી અને આ પાપમાં જોડાયેલા અધિકારીઓનો પણ ભાંડો ફૂટે તો નવાઈ નહીં.

પ્લોટ ટ્રાન્સફર ફી સરકાર મુજબ 50,000 થી વધુ ન લઈ શકાય તો 1.32 લાખ રૂૂપિયા શું કામ લેવાયા ?
કોઈપણ પ્લોટ જ્યારે ટ્રાન્સફર કરવામાં આવે તો ટ્રાન્સફર ફી પેટે સરકારે એક નિર્ધારિત રકમ નક્કી કરેલી હોય છે તેનાથી વધુ રકમ વસૂલી શકાતી નથી ત્યારે નિયમની જો વાત કરવામાં આવે તો 50000 થી વધુ રકમ વસૂલી ન શકાય પરંતુ આ કિસ્સામાં એટલે કે જે કોમર્શિયલ બિલ્ડિંગ ખડકી દેવામાં આવ્યું છે તે માટે 1.32 લાખ રૂૂપિયા ટ્રાન્સફર ફી પેટે લેવામાં આવ્યા હતા ત્યારે હવે પ્રશ્ન એ છે કે આટલા વધુ રૂૂપિયા લેવા પાછળનું કારણ શું? જે હજુ સુધી સામે આવ્યું નથી.
બંને બોડી ના પ્રશ્નો વચ્ચે પીસાઈ રહ્યો છું : પ્લોટ માલિક
પ્લોટ માલિકના જણાવ્યા અનુસાર હાલ જે વિવાદ ઊભો થયો છે તેમાં તેઓએ જણાવ્યું કે આ બંને બોડીનો પ્રશ્ન છે અને તે કિસ્સામાં હું પીસાઈ રહ્યો છું કારણ કે હાલ જે પ્લોટ માટે વિવાદ થઈ રહ્યો છે તેની બાજુમાં જ જે જગ્યા છે તેમાં હોસ્પિટલ કાર્યરત છે અને તે પણ કોમર્શિયલ છે એટલું નહીં તેઓએ જણાવ્યું હતું કે આઠ પ્લોટને છૂટા પાડવામાં આવ્યા હતા જેમાંનો છેલ્લો પ્લોટ જે છે તેમાં હાલ વિવાદ ચાલી રહ્યો છે અને એ પ્લોટના બાંધકામનું કામ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે.
ભાગીદારી પેઢી સોસાયટીમાં દાખલ ન થઈ શકે
મળતી માહિતી મુજબ હાલ જે સમગ્ર મામલો જે લવાદ કોર્ટમાં પહોંચ્યો છે તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે કોઈપણ ભાગીદારી પેઢી હોય તે સોસાયટીમાં દાખલ થઈ શકતી નથી ત્યારે જે તે વખતે ભાગીદારી પેઢી દાખલ થઈ જતા અનેક પ્રશ્નો ઊભા થયા અને આ મુદો અત્યારે ચર્ચાનો વિષય બન્યો.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
5:34 am, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech