CM પટેલ હિંમતનગર થી ખરીદીનો કરાવશે પ્રારંભ : વેચાણ માટે 3,33,000થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી : રાજ્યમાં 160 થી વધુ ખરીદ કેન્દ્રો
રાજકોટ, તા. 8
રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે દરેક સંભવત પ્રયત્ન અને પ્રયાસ કરી રહી છે ત્યારે ખેડૂતોને કોઈ આર્થિક તકલીફનો સામનો ન કરવો પડે તે માટે ટેકાના ભાવે જણસીઓની ખરીદી પણ સરકાર કરતી હોય છે ત્યારે 11 નવેમ્બર થી રાજ્યના 160 થી વધુ ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે એટલું જ નહીં હિંમતનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવશે જે માટે હાલ ઓનલાઈન અરજીઓ પણ શરૂ થઈ ચૂકી છે અને લાઇન મારફતે 3.33 લાખ ખેડૂતોએ નોંધણી પણ કરાવી લીધી છે.
ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરી સુયોગ્ય આયોજન કર્યું છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.
કૃષિ મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી તા. 11 નવેમ્બરના રોજ એકસાથે રાજ્યભરના 160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ 3,33,000થી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી રૂ. 1,356.60 પ્રતિ મણના ભાવે પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવશે.
કોઇપણ અફવાઓ કે વાતોમાં આવ્યા વગર ટેકાના ભાવે વેચાણનો લાભ લેવા રાજ્યભરના ખેડૂતોને અનુરોધ કરતા મંત્રી પટેલે કહ્યું હતું કે, ભારત સરકારની તાજેતરની જાહેરાત મુજબ એક દિવસમાં એક ખેડૂત પાસેથી વિસ્તાર આધારિત મહત્તમ 4,000 કિ.ગ્રા એટલે કે, 200 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે. ખેડૂતોની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે વેચાણ માટે નોંધણીની તારીખ લંબાવવામાં આવી છે. હજુ પણ નોંધણી કરાવવાની બાકી હોય તેવા તેવા ખેડૂતો આગામી તા. 10 નવેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે.