મારી જેની સાથે સગાઇ થઇ છે તેની સાથે તમારા છોકરાને લફરૂ છે, સમાજવી દેજો કહી પહેલા યુવકના પિતાને ધમકી દેવાઇ, પછી હુમલો કરાયો
હત્યાની અન્ય ઘટનામાં હિસ્ટ્રીશીટરની હોમગાર્ડના મિત્રના હાથે બદલો લેવા હત્યા: ત્રીજા બનાવમાં ચોરી કરવા સાથે ગયા, ડખ્ખો થયો અને એકની હત્યા થઇ
દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર તા.25
રાજ્યભરમાં હત્યાની ઘટનાઓ રોજીંદી થઇ ગઇ છે. કોઇને કોઇ ગામ કે શહેરમાં અલગ અલગ કે નાના મોટા કારણોસર હત્યા કરી નાખવામાં આવે છે. પ્રેમપ્રકરણના કારણે વધુ એક હત્યા થઇ છે. તો બીજી તરફ હત્યાની અન્ય…ઘટનાઓ પણ બની છે. હત્યાની અન્ય બે ઘટનામાં એક હિસ્ટ્રીશીટરને બદલો લેવાના ઇરાદે પતાવી દેવાયો હતો. ત્રીજા બનાવમાં ચોરી કરવા સાથે ગયેલા શખ્સો વચ્ચે માથાકુટ થયા બાદ એકની હત્યા કરી નાખવામાં આવી હતી.
હત્યાની પ્રથમ ઘટના પર નજર કરીએ તો આ બનાવમાં પ્રેમ પ્રકરણ મોતનું કારણ બન્યું છે. બોટાદના ઢાંકણીયા રોડ તુલસીનગર ખાતે રહેતા યુવાનને યુવતી સાથે પ્રમ સંબંધ હોવાનો કરૂણ અંજામ આવ્યો છે. યુવતીની સગાઇ થઇ ગઇ હોઇું તેમ છતાં લવલફરા ચાલુ હોઇ બે શખ્સે આવીને યુવાનને છરીના આડેધડ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી નાસી છૂટયા હતા. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ લખતર તાલુકાના દેવળિયા ગામના વતની અને હાલ બોટાદના ઢાંકણીયા રોડ તુલસીનગર એક ખાતર રહેતા જગદીશભાઈ વજુભાઈ મહેરીયા સાંજના ચારેક વાગ્યે તથા પિતા વજુભાઈ તથા જગદીશભાઈ પત્ની જ્યોતિબેન તથા નાનાભાઈ બીજલભાઈ ઉર્ફે હિતેશના પત્ની જયશ્રીબેન ઘરે હાજર હતા તે દરમ્યાન બે માણસો ઘરે આવેલા અને પિતાને કહેલ કે તમારું નામ વજુભાઈ છે, જેથી પિતાએ કહેલ કે પણ તમારે કોનું કામ છે. અને ક્યાંથી આવ્યા છો?
આ દરમિયાન બે પૈકી એક શખ્સેએ કહેલ કે મારૂ નામ સૈહિત ભરતભાઈ ભોજીયા છે અને આ કાકાનો દિકરો શ્યામ ગોરધનભાઈ ભોજીયા છે. અને અમો બન્ને મોટા ભાડલા ગામના છીએ જેથી પિતા વજુભાઈએ કહેલ કે બોલોને તમારે અમારું શું કામ છે. અને રોહિતે કહેલ કે મારૂ વેવીશાળ યુવતી સાથે થયેલ છે અને અમને જાણવા મળેલ છે કે તમારો દિકરો બીજલ ઉર્ફ હિતેષને મારી મંગેતર સાથે પ્રમ સંબંધ છે. જેથી તમારા દિકરાને સમજાવી દેજો કે યુવતીની સામે પણ જોવે નહી નહીતર મજા નહી આવે તેમ કહી બન્ને જણા ઘરેથી જતા રહ્યા હતા દરમિયાનમાં જગદીશભાઈ અને પત્નિ તથા બાળકોને લઈને તળાવે બગીચામાં ફરવા ગયા હતા. ત્યાંથી ઘર તરફ આવતા હતા ત્યારે ઘર પાસેના રોડ ઉપર આવતા રોડની દક્ષીણ બાજું આવેલ દશરથભાઈ ભાજુભાઈ ભુવાની દુકાન બાજુમાં આવેલ શેરીમાં બિજલભાઈ ઉર્ફે હિતેશભાઈ સાથે રોહિત તથા શ્યામ ઝપાઝપી કરતા જોવ મળ્યા હતાં.
જેથી જગદીશભાઈ દીડીને ત્યાં ગયા હતા. રોહિતે બિજલભાઈ ઉર્ફે હિતેશભાઈને જમણી બાજુની છાતીના ભાગે તથા પડખામાં છરીના ઘા ઝીંકી દીધા હતા.તથા શ્યામાએ ગળાની જમણી બાજુ તથા જમણા ગાલ ઉપર આડેધડ ધા ઝીંકી દેતા જગદીશભાઈ દેકારો કરતા કરતા ભાઈને બચાવવા શેરી તરફ દોડયા હતા પરંતુ બીજલભાઇ ઉર્ફે હિતેશભાઈ લોહીલુહાણ હાલતે ત્યાં જ ઢળી પડયા હતા દરમિયાનમાં 108 એમ્બ્યુલન્સમાં બીજલભાઇ ઉર્ફે હિતેશભાઈ ને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બીજલભાઇ ઉર્ફે હિતેશભાઈનું મોત નીપજ્યું હતું. પોલીસે આરોપીઓને ઝડપી લેવા કવાયત આદરી હતી.
હત્યાની અન્ય એક ઘટના સુરતના કાપોદ્રામાં બની છે. જેમાં માથાભારે યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઇ છે. મહિના પૂર્વે માથાભારે યુવકે હોમગાર્ડ પર ચપ્પુથી હુમલો કર્યો હતો. જેની અદાવતમાં હોમગાર્ડના મિત્રે તેની હત્યા કરી હતી. કાપોદ્રા પોલીસે ગુનો નોંધ્યો છે. હત્યારા હર્ષિત કનાડીયાને પણ હાથમાં ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જો કે આ હત્યામાં હોમગાર્ડ સામેલ ન હોવાનું પોલીસે જણાવ્યું છે. કાપોદ્રા વિસ્તારમાં વડવાળા સર્કલ પાસેથી રૂષી પંડિત પસાર થતો હતો. તે સમયે હોમગાર્ડનો મિત્ર હર્ષિત કનાડીયા પણ ત્યાંથી જતો હતો. બન્ને વચ્ચે જુની અદાવતમાં બોલાચાલી થઈ જેમાં બન્ને સામ-સામે આવી ગયા હતા. હત્યારા હર્ષિતે ચપ્પુ કાઢીને રૂષી પંડિતને ખભાના પાછળના ભાગે ઘા માર્યા હતા. જેના કારણે વધુ પડતું લોહી વહી જતા તેનું સારવાર મળે તે પહેલા મોત થયું હતું.
હત્યાનો ભોગ બનનાર રૂષી પંડિત મૂળ યુપીનો રહેવાસી હતો અને તેનો પરિવાર વતનમાં રહે છે. મૃતક રૂષી પહેલા કાપોદ્રામાં રહેતો હતો અને હાલમાં સરથાણામાં રહે છે. અગાઉ મૃતક સામે પોલીસમાં મારામારી ખંડણી સહિતના 8 ગુનાઓ નોંધાયેલા છે. વધુમાં પોલીસે જણાવ્યું કે મૃતક રૂષી, હોમગાર્ડ અને હત્યારો હર્ષિત ત્રણેય મિત્રો હતા.
ત્રીજા બનાવમાં વલથાણ તરફ આવતા નહેરવાળા રસ્તા પર ખેતરમાં ઓગણીસ વર્ષીય અમરોલી સુરતનાં દેવીપુજક યુવકની તીક્ષ્ણ ઘા મારી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતકના ભાઈની ફરિયાદના આધારે કામરેજ પોલીસે ચાર શકમંદો સામે ગુનો નોંધતા ચકચાર મચી ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ પોલીસની હદમાં અને સુરતથી વલથાણ તરફ આવતા નહેરવાળા રોડની બાજુમાં કેતનસિંહ ગોહિલનાં ખેતરમાં રાહુલ ઉગરેજીયા રહે અમરોલી, સુરત શહેર, મુળ રહે બોરાણા ગામ તા.લીમડીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે અંગે મૃતકના ભાઈ આકાશ ઉગરેજીયાએ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં ચાર શકમંદ પૈકી રોહિત કિરણ ઉગરેજીયા, રવિ કિરણ ઉગરેજીયા (બંને રહે. કોસાડ આવાસ અમરોલી) તથા કલ્પેશ વાઘેલા (રહે. કોસાડ આવાસ અમરોલી) અને રાહુલ ખાવડીયા (રહે. હાઉસીંગ મુરલીધર એપાર્ટમેન્ટ, સુરત) ચાર ઈસમો એકસાથે વલથાણ નહેર વાળા રોડ પર ચોરી કરવા માટે ગયા હતા.
ત્યાં મૃતક રાહુલ સાથે તમામને અંદરો અંદર કોઇ વાતે ઝઘડો થતા તેઓ તમામે અથવા શકદાર રોહીતનાં જણાવ્યા પ્રમાણ ત્યાં આવેલ અજાણી રીક્ષા તથા મોટર સાઇકલ પર આવેલ અજાણ્યા આરોપીઓએ કોઇ અગમ્ય કારણોસર રાહુલનાં પેટનાં ભાગે તીક્ષ્ણ હથિયારનાં ત્રણેક જેટલા ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી જેનું મોત નિપજાવી ભાગી છુટ્યા હોવાનું હાલ કામરેજ પોલીસ મથકે નોંધાતા હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
