CCTV ફુટેજ સામે આવતા પોલીસ અધિકારીઓ તથા પોલીસ બેડામાં ચોંકાવનારી ચર્ચાએ પકડયુ જોર
હથિયારનો ઉપયોગ થયો નથી : સામ સામી ઝપાઝપીમાં મુક્કો માર્યો છે તો 323 થી વાત આગળ ન વધે તેવો બહુમત : પો.ઈન્સ.પર હુમલાની વાત હવામાં ઓગળી
રાજકોટ,તા.27
ગઈકાલે મવડી કણકોટ રોડ પર શ્યામ પાર્ટી પ્લોટ પર લગ્ન પ્રસંગે સરદારધામના ઉપપ્રમુખ જયંતિલાલ સરધારા અને પોલીસ ઈન્સ્પેકટર સંજય પાદરીયા વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી પ્રકરણમાં જયંતિ સરધારા પર કથીત હુમલા સબબ પી.આઈ.પાદરીયા સામે 307ની કલમ લગાવાતા કાયદાની કલમના ઉપયોગ અને ગેરઉપયોગ વચ્ચે ફરજ બજાવતાં પોલીસ બેડામાં રોષ જન્મ્યાનું બહાર આવી રહ્યું છે. સરધારા પરના હુમલા અને પોલીસ ઈન્સ્પેકટર પાદરીયા સામે કડક પગલાં લેવાની વાતો વચ્ચે પોલીસ ઈન્સ્પેકટર પર હુમલાની વાત હવામાં જ ઓગળી ગઈ છે ત્યારે પોલીસ બેડામાં એવો રોષ જોવા મળી રહ્યો છે કે સરધારાને થયેલ ઈજામાં કયાંય હથિયારનો ઉપયોગ થયાનું સીસીટીવી કે દાસ્મીક શાહેદોમાં ખુલ્યું નથી. મુક્કો લાગ્યાનું જણાઈ રહ્યું છે ત્યારે કાયદાકીય જોગવાઈ મુુજબ કલમ 323 લાગી શકે. હત્યાના પ્રયાસ જેવી કડક કલમ લગાડવામાં આવતાં પોલીસ બેડામાં તથા પાટીદાર સમાજમાં ચોંકાવનારી ચર્ચાઓએ જોર પકડાયાનું જોવા મળી રહ્યું છે.
પોલીસ બેડામાંથી જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલના બનાવ અંગે તપાસનીશ અધિકારીઓ તથા જાણકાર વર્તુળોની છાનબીનમાં 307 અંગે કોઈ મજબૂત કળી ધ્યાનમાં ન આવ્યાનું મનાય છે. લગ્ન પ્રસંગના જમાણવારના સીસીટીવી ફુટેજ બહાર આવ્યા છે તેમાં પાંચેક મિત્રો વચ્ચે કોઈ બાબતે ચર્ચા થઈ રહી છે ત્યારે જયંતિભાઈ સરધારાએ એક તબક્કે પોલીસ ઈન્સ્પેકટર સંજય પાદરીયાનો કાથલો પકડી લીધાનું અને પાટુ માર્યાનું જોઈ શકાય છે અને એવું લાગી રહ્યું છે કે મિત્રના પરિવારનો લગ્ન પ્રસંગે કઈ બખેડો ન થાય તેવા સારા ઉદ્દેશથી પી.આઈ.પાદરીયા તથા જયંતિલાલ સરધારા વાતને ત્યાં જ પૂર્ણ કરી અને બહાર જતાં રહે છે અને બાદમાં રોડ પાસે બન્ને ફરી મળી જતાં કારમાંથી જયંતિલાલ સરધારા કારમાંથી બહાર આવ્યા બાદ બન્ને વચ્ચે ફરી ઝપાઝપી થતી હોય તેવા સીસીટીવી ફુટેજ પોલીસને મળતાં એમ કહેવાય છે કે તપાસનીશ અધિકારીઓ પણ તપાસ કઈ રીતે આગળ ધપાવવી અને શું રિપોર્ટ કરવો ? તે અંગે અસ્મજંશમાં મુકાયાનું મનાય છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર વિગતો મળી નથી પરંતુ પોલીસ બેડમાં છાણા ખૂણે કચવાટ શરૂ થયો છે અને કોઈ અગમ્ય કારણોસર હત્યાના પ્રયાસ અંગેની ગંભીર કલમ 307 લગાવવામાં ઉતાવળ થઈ ગઈ હોય અને કાચુ કપાયું હોય તેવી ચર્ચાએ જોર પકડયું છે.
પોલીસ બેડાના અમુક સુત્રોમાં એવો પણ કચવાટ શરૂ થયો છે કે પોલીસ ઈન્સ્પેકટર દરજ્જાના અધિકારીનો કાથલો પકડવાનો પ્રયાસ અને પાટુ મારવા જેવી બાબત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ત્યારે શું તપાનીશ અધિકારીઓ તટસ્થ રીતે તપાસ કરી સત્ય હકીકતો બહાર લાવશે કે કેમ ? તે અંગે પણ પોલીસ બેડા તથા જાણકાર વર્તુળોમાં ચર્ચા જાગી છે.
બીજી તરફ પાટીદાર સમાજમાં પણ બહુમત સભ્યો એવું ચર્ચી રહ્યાં છે કે તપાસનીશ અધિકારીઓએ તટસ્થ તપાસ હાથ ધરીને તથા બનેલ ઘટના અંગેના તમામ અંકોડા મેળવ્યા બાદ જ કાનૂની પગલાં લેવા જોઈએ. જો તટસ્થ તપાસ નહીં થાય અને 307ની કલમ લગાવવા બાબતે ખોટી ઉતાવળ થયાની ચર્ચા છે ત્યારે ન્યાયના હિતમાં કામગીરી નહીં થાય તો પોલીસ તંત્રનાં મોરલને પણ હાની પહોંચી શકે છે.
