એપ્રિલ – મે માસમાં નર્મદા કેનાલનું થશે મેન્ટેનેન્સ : લોકોને અગવડતા ન પડે તે માટે લેવાયો નિર્ણય
રાજકોટ, તા.3
એક સમયે રાજકોટ નપાણીયુ માનવામાં આવતું હતું ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે સંયુક્ત રીતે આ મેણાને ભાંગી નાખ્યું છે. કારણ કે સરકાર દ્વારા સૌની યોજના મારફતે હાલ પીવાનું પાણી પૂરું પાડી રહી છે ત્યારે મહત્વની વાત એ છે કે આવતા એપ્રિલ અને મે મહિના દરમિયાન સિંચાઈ વિભાગ દ્વારા નર્મદા કેનાલનું મેન્ટેનન્સ કાર્ય હાથ ધરવામાં આવશે જેના કારણે આ બે મહિના કોઈપણ શહેરને પીવાના પાણીની અછત ન રહે તે માટે એક આગવું આયોજન કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ હાલ રાજકોટ ખાતે એટલે કે રાજકોટની જીવાદોરી સમાન આજીડેમમાં સૌની યોજનાનું પાણી આપવાનું શરૂૂ કરી દેવાયું છે અને માર્ચ મહિનાની અંદર જ સમગ્ર ડેમને ભરી દેવામાં આવે તે મુજબનું આયોજન હાલ રાજ્ય સરકાર અને નર્મદા નિગમ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. બીજી મહત્વની વાત તો એ છે કે આ વર્ષ ચૂંટણીનું વર્ષ હોવાથી મતદારોને રીઝવવા અને તેઓને કોઈપણ પ્રકારની અગવડતા નો સામનો ન કરવો પડે તે વાતની ગંભીરતાને ધ્યાને લઈને આજે આ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યા છે .
આ સિઝનમાં અને ખાસ કરીને ચૂંટણી વર્ષમાં રાજકોટને પાણીની કોઇ મુશ્કેલી ન પડે તે માટે સંકલન કરીને સરકારે ફરી શનિવારથી આજી-1 ડેમમાં નર્મદા નીર ઠલવવાનું શરૂૂ કર્યુ છે. ટુંક સમયમાં ન્યારી-1 ડેમમાં પણ તુરંતમાં પાણી શરૂૂ થાય એવા નિર્દેશ છે. હાલ કેનાલ અને પાઇપલાઇન મારફત રાજકોટને પાણી ચાલુ છે. આથી આ મહિનો હજુ બને ત્યાં સુધી નર્મદાના નીરની જ સપ્લાય કરવા અને આજી-ન્યારીનું પાણી બફર સ્ટોક તરીકે રાખવા પણ સરકારે સૂચન કર્યુ છે.
એપ્રિલ અને મે એમ બે મહિના કેનાલના રીપેરીંગનું મોટુ કામ નીકળ્યું છે. આ અંગેની જાણ સરકારે બે મહિના અગાઉ જ રાજકોટ મહાપાલિકાને કરી નર્મદાના નીર ડેમોમાં ઠલવવાનું શરૂૂ કર્યુ હતું. ગત મહિને ડેમોમાં સરકારે પુરતુ પાણી ઠલવ્યું હતું. હવે એક મહિનો જ નર્મદા નીર મળવાનું હોય, સરકારે આજી ડેમમાં પાણી ઠલવવાનું શરૂૂ કર્યુ છે. હાલ આજી ડેમમાં 500 અને ન્યારી ડેમમાં 550 એમસીએફટી નીર ઠાલવવા ગણતરી છે. આજની સ્થિતિએ આજી ડેમમાં 780 અને ન્યારીમાં 1050 એમસીએફટી જથ્થો રહેલો છે. કોર્પોરેશને ન્યારી માટે 700 અને આજી માટે 1800 એમસીએફટી જથ્થો માંગ્યો છે.
જોકે રોજ 135 એમએલડી પાણી કેનાલ સિવાય નર્મદા પાઇપલાઇનમાંથી મળે છે. આ પાઇપલાઇનનું પાણી પણ કેનાલ સાથે બંધ થાય તો મુશ્કેલીનો થોડો ભય તંત્રને છે. આથી થોડા દિવસો બાદ ભાજપના પદાધિકારીઓ અને કમિશ્નર સહિતના અધિકારીઓ ગાંધીનગર સરકારને મળીને સ્થિતિ રજુ કરનાર છે. વોટર વર્કસ સમિતિના ચેરમેન અશ્વિન પાંભરે કહ્યું હતું કે, પાઇપલાઇન ધોળીધજા ડેમ સુધી રહેલી છે. કેનાલનું પાણી લાઇનમાં ફેરવવામાં આવે તો આ પાણીની ઘટ પડશે નહીં. એકસપ્રેસ લાઇન સહિતના સ્ત્રોતનો ઉપયોગ પાણીના ટ્રાન્સફર માટે કરવાની કસરત ચાલી રહી છે.
એકંદરે રાજકોટને ઉનાળામાં પાણીની કોઇ મુશ્કેલી ન પડે તેવું તમામ આયોજન મહાપાલિકા કરી રહી છે. હાલ રાજકોટમાં 350 એમએલડીના ઉપાડ સાથે 395 એમએલડી પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
