દોઢસો ફુટ રીંગ રોડ અયોધ્યા ચોક નજીક એપાર્ટમેન્ટમાં બનાવ: એકની એક દિકરીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરતાં મલકાણ પરિવારમાં શોકની કાલીમા: ધોરણ-બાર સાયન્સમાં મોદી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી છાત્રા
રાજકોટ: આજનું ભણતર ઘણીવાર છાત્રો માટે ભારરૂપ બની જતું હોય છે. અભ્યાસના ટેન્શનને લીધે એવા અનેક કિસ્સા બન્યા છે જેમાં વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીએ નાપાસ થવાની બીકથી કે પછી પોતે પરિક્ષામાં યોગ્ય દેખાવ નહિ કરી શકે અને ઇચ્છીત પરિણામ નહિ મેળવી શકે તેવા વિચારથી કે ભયને લીધે આત્મહત્યા કરી લીધી હતી અથવા તો એવો પ્રયાસ કર્યો હતો. આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે છાત્રોને જાગૃત બનાવવા સંસ્થાઓ, જે તે શાળાઓ કે પછી પોલીસ દ્વારા શાળા-કોલેજમાં કેમ્પ-શીબીર યોજી છાત્રોનું મનોબળ વધારવામાં આવતું હોય છે. આમ છતાં ઘણીવાર છાત્રો નાસીપાસ થઇ ન ભરવાનું પગલુ ભરી લેતાં હોય છે. શહેરના દોઢસો ફુટ રીંગ રોડ અયોધ્યા ચોકમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતી અને ધોરણ બાર સાયન્સમાં ભણતી સત્તર વર્ષની વિદ્યાર્થીનીએ પોતે પાસ નહિ થઇ શકે અને મમ્મીનું પોતાને ડોક્ટર બનાવવાનુ઼ સપનુ સાકાર નહિ કરી શકે તેવા વિચાર કે ભયને કારણે સ્યુસાઇડ નોટ લખીને પોતાનો જીવ આપી દીધો હતો.
અરેરાટી જનક અને બીજા છાત્રોને ધડો લેવા જેવી આ કરૂણ ઘટનાની વિગતો પર નજર કરીએ તો શહેરના ઓસ્કાર રેસીડેન્સીમાં રરહેતી અને મોદી સ્કૂલમાં ધોરણ-12માં અભ્યાસ કરતી સત્તર વર્ષની માહી આલોકભાઇ મલકાણએ રાત્રે પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ મૃત્યુ નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ, હેડકોનસ. જયદિપસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચે કરતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન. જે. મસાકપુત્રા અને રાઇટર જયશ્રીબેને હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર માહી માતા-પિતાની એકની એક દિકરી હતી અને વી. જે. મોદી સ્કૂલમાં ધોરણ-12 સાયન્સમાં ભણતી હતી.
તેણીને અભ્યાસ બાદ ડોક્ટર બનવાની ઇચ્છા હતી. તેના પિતા વેપાર કરે છે. ગત સાંજે માતા-પિતા સહિતના બહાર ગયા હતાં અને બહારથી રાતે દસેક વાગ્યે ઘરે આવ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હોઇ ઇન્ટર લોકો ખોલીને જોતાં દિકરી લટકતી મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. માહીને બેભાન હાલતમાં નીચે ઉતારી તુરત જ સિવિલ હોસ્પિટલે ખસેડાઇ હતી. પરંતુ ટુંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. પોલીસે વધુ તપાસ કરતાં એવી વિગતો ખુલી હતી કે આપઘાત પુર્વે માહીએ સાતેક લીટીની એક સ્યુસાઇડ નોટ લખી હતી.
જેમાં તેણીએ મમ્મી મને માફ કરી દેજો, હું તમારા ડોક્ટર બનવાના સપના પુરા નહિ કરી શકું!…તે પ્રકારનું લખાણ હતું. અભ્યાસમાં ટેન્શનને કારણે થોડી ડિપ્રેશનમાં આવી જતાં નાપાસ થશે અને ડોક્ટર નહિ બની શકે તેવું લાગતાં આ પગલુ ભર્યાની પ્રાથમિક વિગતો ખુલી છે. લાડકવાયી આશાસ્પદ દિકરી ગુમાવનારા પરિવારજનો ઉંડા શોકમાં ગરક થઇ ગયા હતાં. પરિક્ષા એ માત્ર આગળ વધવાનું પગથીયું છે, પરિક્ષામાં જો મહેનત કરવા છતાં નાપાસ થઇએ તો અહિ જિંદગી ખતમ નથી થઇ જતી, અનેક છાત્રો નાપાસ થતાં રહે છે અને બીજા પ્રયત્ન થકી પાસ થઇ આગળ વધી ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે છે. આવા અનેક દાખલાઓ મોજુદ છે. ત્યારે આ કિસ્સા પરથી બીજા છાત્રોએ એ ધડો લેવો જોઇએ કે નાપાસ થવાની બીક કે પછી અભ્યાસના જરાપણ ભારણને મન પર સવાર ન થવા દઇ માત્ર મહેનત પર ધ્યાન આપવું જોઇએ. જેનું સારુ પરિણામ ચોક્કસ મળતું જ હોય છે.
અન્ય એક મૃત્યુની ઘટનામાં હૃદય બેસી જવાથી કારખાનેદાર યુવાનની જિંદગીનો અંત આવી ગયો હતો. વિગતો જોઇએ તો શહેરના હરિ ધવા રોડ પર આવેલી કામનાથ સોસાયટીમાં રહેતાં ચુમાલીસ વર્ષના શૈલેષભાઇ ધીરજલાલ સોરઠીયા નામના યુવાન ઘરે હતાં ત્યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ જીવ બચ્યો નહોતો.
હાર્ટએટેક આવી ગયાનું જાહેર થતાં હોસ્પિટલ મારફત જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકના હેડોક્ધસ. તોરલબેને જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર બે ભાઇ અને એક બહેનમાં બીજા નંબરે હતાં અને હાર્ડવેરની ચીજવસ્તુનું કારખાનુ ચલાવતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આ બંને સંતાને પિતાનું છત્ર ગુમાવી દેતાં સોરઠીયા પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.
