બાઈક અથડાતા ટ્રકમાં આગ : બાઈક ચાલકનું મોત
મૃતક પડધરીના ગીતાનગર નજીકની ઝુપડપટ્ટીનો રસિકભાઈ ધુણાભાઈ સિંધવ હોવાનું જણાવતી પડધરી પોલીસ
રાજકોટ મિરર, તા.9
રવિવારે દિવસ દરમિયાન રાજકોટ-જામનગર હાઇવે ઉપર આવેલ પડધરી બાયપાસ સર્કલથી આગળ ક્રિસ્ટલ સ્કૂલની નજીક રોડ ઉપર ટન લેતા ટ્રક સાથે ધડાકાભેર બાઈક અથડાયા બાદ, બાઈકની ટાંકીમાંથી લીકેજ થયેલા પેટ્રોલથી ટ્રકમાં આગ લાગતા ટ્રક આગમાં ખાક થઇ ગયો હતો. બીજીબાજુ જોરદાર રીતે અથડાયેલા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ પરથી પડધરી પોલીસ ઘટના સ્થળે દોડી જઈને, રોડ પરના ટ્રાફિકને ડાયવર્ટ કરીને વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો.
મળતી વિગતો મુજબ રવિવારે રાજકોટ – જામનગર હાઈવે પર પડધરી બાયપાસ નજીક આજે એક ટ્રક રોડ પર ટન(વળાંક) લેતો હતો ત્યારે પુરપાટ ઝડપે જતું એક બાઈક ટ્રક સાથે અથડાયું હતું. આ સમયે બાઈકની પેટ્રોલની ટાંકીમાંથી બહાર આવેલા પેટ્રોલથી આગ લાગતા આગે ઘડીકવારમાં જ ટ્રકના વ્હીલને લપેટમાં લેતા ટ્રકમાં વિકરાળ આગ લાગતા રોડ પરનો વાહનવ્યવહાર થંભી ગયો હતો.બનાવ બાબતે રાજકોટ મિરરર વધુ વિગતો આપતા પડધરી પોલીસના પીએસઓએ જણાવ્યું હતું કે બનાવની જાણ થતા પીઆઈ એચ.એલ.પરમારના માર્ગદર્શન હેઠળ એએસઆઈ દિવ્યરાજ સરવિયા સહિત ડી સ્ટાફ ઘટના સ્થળે દોડી જતા ઘટના સ્થળે જ બાઈક ચાલકનું મોત થયાનું જોવા મળ્યું હતું. દરમિયાન પોલીસે મૃતકની લાશને પીએમ માટે પડધરી સરકારી હોસ્પીટલે ખસેડી હતી. અહી મૃતકની અંગજડતી દરમિયાન કોઈ આધાર મળ્યો ન હતો પણ જાણકારોની વિગતો પરથી મૃતક પડધરી ગીતાનગર નજીકની ઝૂપડપટ્ટીમાં રહેતો રસિકભાઈ ઘુણાભાઈ સિંધવ હોવાનું બહાર આવ્યું હતું.
આ પહેલા એટલે કે આગથી ભસ્મીભૂત થયેલો ટ્રક રોડ પર જ પડ્યો હોવાથી પડધરી પોલીસે રાજકોટથી જામનગર જતા તમામ વાહનોને પડધરી ગામમાંથી ડાયવર્ટ કરી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો. પડધરી પોલીસે જણાવ્યું હતું કે, મૃતકને હોસ્પીટલે ગોવિંદભાઈ ચાવડીયા લાવ્યા હતા. ત્યારે ગોવિંદભાઈએ રાજકોટ મિરરને જણાવ્યું હતું કે, તેઓ અકસ્માત વિષે કઈ જાણતા નથી, તેઓ પોતાનું ઘેટા-બકરાનું વાઘ ચરાવતા હતા. મૃતકનો 15-16 વર્ષનો પુત્ર અકસ્માત બાદ રો-કકળ કરતો હતો અને હોસ્પીટલે સાથે આવવાનું કહેતા તેમની સાથે ગયા હતા. એટલે તેઓ તો માત્ર સેવાભાવે હોસ્પીટલે ગયા હતા. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, ટ્રક કોનો હતો ? આગ લાગી ત્યારે ટ્રક ચાલક ક્યા હતો ? વિગરે બાબતે પડધરી પોલીસે તપાસ શરુ કરી છે.
