દંપતિ સહિત ચાર પર પાણાવાળી કરી ત્રણ કિલો ‘વાળ’ની લૂંટ!
માધાપર ચોકડી બ્રીજ નીચે બનાવ: જુના વાળ લે-વેંચનો ધંધો કરતાં યુવાન, તેના ભાઇ, પત્નિ સાથે બનાવ બીજા બનાવમાં સિક્કાથી રૈયા દિકરી પાસે મોબાઇલ લેવા આવેલા આધેડ પર દિકરી, જમાઇ સહિતના તૂટી પડ્યા
વિરાણી અઘાટમાં કેટરર્સના ત્રણ કર્મચારીઓને બે અજાણ્યા છરીના ઘા ઝીંકી ભાગી ગયા
રાજકોટ: મારામારીના બનાવો દરરોજ કોઇને કોઇ સ્થળે બનતા રહે છે. રાજકોટ શહેરમાં અલગ અલગ ત્રણ સ્થળે જામી પડી હતી. જેમાં એક ઘટનામાં માધાપર ચોકડીએ પૂલ નીચે રહેતાં અને માથાના વાળ લે-વેંચ કરી ગુજરાન ચલાવતાં યુવાન, તેના ભાઇ, પત્નિ પર તેના જ સમાજના લોકો હુમલો કરી વાળની લૂંટ કરી જતાં ચકચાર જાગી છે. બીજા બનાવમાં રૈયા ગામમાં દિકરી પાસે પોતાનો મોબાઇલ ફોન હોઇ તે લેવા જામનગરના સિક્કાથી આવેલા યુવાન પર દિકરી, જમાઇ, વેવાઇ સહિતના તૂટી પડતાં સારવાર માટે દાખલ થવુ પડ્યું હતું. ત્રીજા બનાવમાં કેટરર્સના ત્રણ કર્મચારીઓ પર અજાણ્યા બાઇકસવાર શખ્સો હુમલો કરીને ભાગી ગયા હતાં. છરીના ઘાથી આ ત્રણેય લોહીલુહાણ થઇ જતાં સારવાર માટે દાખલ થવુ પડ્યું હતું.
પ્રથમ ઘટનાની વિગતો પર નજર કરીએ તો માધાપર ચોકડી ઓવરબ્રીજ નીચે રહેતાં વિજય બાબુભાઇ પરમાર, તેની પત્નિ શારદા અને ભાઇ સાજન બાબુભાઇ પરમાર તેમજ સુરજ બાબુભાઇ પરમાર પર રાત્રીના અગિયારેક વાગ્યે દેવીપૂજક સમાજના શખ્સોએ આવી ઓચીંતો હુમલો કરી પથ્થરમારો કરી ચારેયને ઇજાઓ પહોંચાડતાં ચારેયને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ ચારેય જુના વાળ ઘરે ઘરે જઇ ઉઘરાવે છે અને તે વેંચાતા લઇ બીજા વેપારીઓને વેંચાણ કરી ગુજરાન ચલાવે છે. વિજયએ જણાવ્યું હતું કે આ રીતે એકઠા કરેલા ત્રણેક કિલો વાળની લૂંટ હુમલાખોરો કરી ગયા હતાં. એક કિલો વાળની કિંમત 6 હજાર જેવી હોય છે. ગાંધીગ્રામ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.
બીજા બનાવમાં જામનગરના સિક્કા ગામે પંચવટી રોડ પર રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં બેતાલીસ વર્ષના વિજયભાઇ ગોવિંદભાઇ ચોૈહાણની ફરિયાદ પરથી રાજકોટ રૈયા ગામ સ્મશાન પાસે રહેતાં તેના વેવાઇ વિલાસગીરી શાંતિગીરી, જમાઇ ઉદેશગીરી વિલાસગીરી, જમાઇના ભાઇ બ્રિજેશગીરી વિલાસગીરી, દિકરી કુમકુમ ઉદેશગીરી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. વિજયભાઇએ જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને મેં વીસ વર્ષ પહેલા તુલસીગીરી ગોસાઇની દિકરી દક્ષા સાથે લવમેરેજ કર્યા છે. મારે સંતાનમાં એક પુત્ર છે. પત્નિના અગાઉ લગ્ન જગદીશભારથી બચુભારથી ગોસાઇ સાથે થયા હતાં. તેના થકી તેણીને દિકરી કુમકુમ છે. કુમકુમ અગાઉ રાજકોટ કોલેજમાં અભ્યાસ કરતી હતી. એ દરમિયાન આજથી ત્રણેક મહિના પહેલા તેને ઉદયગીરી વિલાસગીરી ગોસ્વામી સાથે પ્રેમ થઇ જતાં તેની સાથે તેણીએ લવમેરેજ કરી લીધા છે.
આ ઉદયગીરી મારા પત્નિનો ભાણેજ થાય છે. મારી દિકરી કુમકુમ લગ્ન કરીને ગઇ ત્યારથી મારો મોબાઇલ ફોન તેની પાસે હતો. બુધવારે હું ઇકો ગાડીનો ફેરો કરી જામનગરથી અજમરે થઇ પરત રાજકોટ આવ્યો હોઇ મારી દિકરી કુમકુમ તેના સાસરે રૈયા ગામે હોઇ તેની પાસેથી મારો મોબાઇલ ફોન લેવાનો હોઇ મેં તેણીને ફોન કરતાં તેણે ઘરે આવીને લઇ જાવ તેમ કહેતાં હું ત્યાં જતાં તેના પતિ ઉદેશગીરીએ ગાળો દઇ ઝઘડો કર્યો હતો. દિકરીના જેઠ બ્રિજેશ, સસરા વિલાસગીરીએ અને દિકરી કુમકુમે પણ મારી સાથે ઝઘડો કરી ગાળો દીધી હતી અને બ્રિજેશે પથ્થર ઉપડાી મારા માથામાં મારી દીધો હતો.
કુમકુમે પણ મને લાફા મારી દીધા હતાં. હું બેભાન જેવો થઇ જતાં ગાડીમાં બેસવા જતાં મને મારો ફોન આપી દીધો હતો. ચક્કર આવતાં હોઇ મેં સગાને જાણ કરતાં તે આવી જતાં મને હોસ્પિટલમાં લઇ ગયા હતાં. તેમ વધુમાં વિજયભાઇએ કહ્યું હતું. સામા પક્ષે તેના વેવાઇ રૈયા ગામે રહેતાં અને ડ્રાઇવીંગ કરતાં વિલાસગીરી સાકેતગીરી ગોસ્વામી પણ પોતાના પર વિજયભાઇ ચોૈહાણે પાઇપથી હુમલો કર્યાની ફરિયાદ સાથે દાખલ થયા હતાં.
મારામ ારીના ત્રીજા બનાવમાં વરાણી અઘાટમાં રહેતાં અને કેટરીંગનું કામ કરતાં ત્રણ યુવાનો પર બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો છરીથી હુમલો કરી તેમજ ઇંટના ઘા કરી ઇજા પહોંચાડી ભાગી જતાં ત્રણેયને સારવાર માટે દાખલ કરાયા હતાં. આ બનાવમાં ભક્તિનગર પોલીસે ઢેબર રોડ વિરાણી અઘાટ રાજકમલ પેટ્રોલ પંપવાળી શેરીમાં નગીન બસ નજીક રહેતાં ભેરૂલાલ રતનલાલ મેઘવાલ નામના કેટરીંગ સંચાલકની ફરિયાદ પરથી જીજે13એક્યુ-8593 ઉપર ભાગેલા બે શખસો સામે ગુનો નોંધ્યો છે. ભેરૂલાલે જણાવ્યું છે કે હું મુળ રાજસ્થાનનો વતની છું અને હાલ અહિ કેટરીંગનું કામ કરી સ્ટાફ સાથે રહુ છું. રાતે સવા બારેક વાગ્યે અમે પહેલા માળે ટીવી જોતા હતાં ત્યારે નીચે દેકારો થતાં અમે ચાર પાંચ કેટરીંગાળા નીચે ઉતર્યા હતાં. મારી સાથે અન્ય કર્મચારી સંજય ગુલાબભાઇ પારંગી અને પ્રકાશ કચરાભાઇ આદીવાસી તેમજ શંકર, જગદીશ, રાજુ, માનસિંગ સહિતના હતાં. બાઇક પર આવેલા બે શખ્સો અમારા સ્ટાફના પ્રકાશ સહિતની સાથે બોલાચાલી કરતાં હોઇ અમે તેને ભગાડી મુક્યા હતાં.
પાંચેક મિનીટ બાદ ફરીથી આ બંને આવ્યા હતાં અને કંઇપણ બોલ્યા વગર છરીથી હુમલો કરી આડેધડ ઘા મારતાં મને પડખામાં અને કપાળે ઇજા થઇ હતી. જ્યારે મારી સાથેના પ્રકાશ અને સંજયને પણ માથામાં ઇજાઓ થતાં અમને ત્રણેયને લોહી નીકળવા માંડ્યા હતાં. દેકારો થતાં આ બંને ભાગી ગયા હતાં. જતાં જતાં ઇંટનો ઘા પણ માર્યો હતો. બાદમાં અમે શેઠ ગોૈતમભાઇને જાણ કરતાં અમને હોસ્પિટલે ખસેડાયા હતાં. તેમ વધુમાં ભેરૂલાલે કહેતાં હેડકોન્સ. પી. એન. ગોહિલે ગુનો દાખલ કર્યો હતો.
