સમયસર ગાંડીવેલ દૂર નહીં થાય તો રોગચાળો ફાટી નીકળશે : જવાબદારી કોની?
સંબંધિત વિભાગના અધિકારીઓ માત્ર ફોટા પડાવી કામગીરી કર્યાનો માની લે છે સંતોષ સામે લોકોના સ્વાસ્થ્ય પર જોખમ તો ઊભું ને ઊભું જ
રાજકોટ, તા. 24
શહેરની ભાગોળે આજી નદીથી મચ્છરોના ઝુંડના ઝુડનું આક્રમણ થવા લાગ્યું છે. કોર્પોરેશન દ્રારા થતો કરોડોનો ખર્ચ અને અનેક પ્રયાસો પાણીમાં ગયા હોય તેમ આજી નદીમાં ગાંડીવેલ ચાદરની જેમ પથરાઈ ગઈ છે. જેને કારણે તેની અંદર જ જીવલેણ મચ્છરોએ પોતાનું ઘર બનાવી લીધું છે. અને ઝૂંડ સ્વરૂપે હવામાંથી આ મચ્છરો શહેરની અંદર આક્રમણ કરી રહ્યા છે. મનપાની સાથે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા પણ મુકપ્રેક્ષક બની હોય શહેર પર મચ્છરજન્ય જીવલેણ રોગચાળાનો ખતરો તોળાઈ રહ્યો છે. આજી નદીમાં ચારથી પાંચ જગ્યાએ એવો વિસ્તાર છે જ્યાં ગાંડીવેલનો ફેલાવો થાય છે. હાલ બેડી ચોકડી પાસે પાણી પણ દેખાય નહીં એ રીતે ગાંડીવેલ ચાદરની જેમ પથરાઇ ગઇ છે. અને તેમાથી જ મચ્છરોના ઝુંડ રાજકોટમાં ઘૂસી રહ્યા છે. ત્યારે મોટા ટબ્બા જેવડા આ મચ્છરો શહેરમાં જીવલેણ રોગચાળો ફેલાવે એ પહેલા નિંભર તંત્રએ આંખ ઉઘાડવી જરૂરી છે. જો આમ નહીં થાય તો કોરોનાની સાથે-સાથે શહેરમાં મચ્છરજન્ય રોગચાળો માથું ઉંચકશે તે નિશ્ર્ચિત છે.
બેડી, નદીમાંથી ગાંડી વેલ દૂર કરવા માટે લાખો રૂપિયાની મશીનરી સાવવામાં આવી હતી. ત્યારે મનપા, કલેક્ટર તંત્રએ એવો દાવો કર્યો હતો કે, ગાંડીવેલ ઉખેડવાની સાથે નદીમાં કેરોસીન-કેમિકલનો છંટકાવ પણ કરવામાં આવશે, જેથી ગાંડીવેલ મૂળથી દૂર થઈ જશે. જો કે આ દાવો ખોટો સાબિત થયો છે, અને ગતવર્ષ કેમિકલનો છંટકાવ કર્યા છતાં ગાંડીવેલ બેકાબૂ બની હોય તેમાંથી જીવલેણ મચ્છરો ઉત્પન્ન થવા લાગ્યા છે. આ મચ્છરોનાં ત્રાસથી આસપાસની સોસાયટીમાં લોકોને દિવસે પણ બારી-બારણા બંધ રાખવા પડે છે. હાલ મહાનગરપાલિકા પાસે એવા કોઈ નક્કર સાધનો અથવા તો નક્કર આયોજન નથી જેનાથી ગાંડીવેલના દૂષણને દૂર કરી શકાય. મળતી માહિતી મુજબ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને મહાનગરપાલિકાએ બે મશીનો ગાંડીવેલ ને દૂર કરવા માટે ખરીદ્યા હતા પરંતુ કહેવાય છે ને કે નવી નવી વસ્તુ માત્ર બે દિવસ જ નવી લાગે પછી તે રમકડાનો કોઈ ભાવ જ ન પૂછે તેવું ચિત્ર હાલ મહાનગરપાલિકામાં જોવા મળી રહ્યું છે. બેડી નાકા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં હાલ આ બે મશીનને રાખી દેવામાં આવ્યા છે અને સાવ નો ન્યુઝ મશીન હોવાથી તેની હાલત પણ અત્યંત બિસ્માર બની ગઈ છે.
તજજ્ઞોના જણાવ્યા અનુસાર આ વિભાગના અધિકારીઓને પણ ખબર નહીં હોય કે છેલ્લે ક્યારે આ મશીનનો ઉપયોગ ગાંડી વેલને દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો. આવનારા દિવસોમાં હવે આ વેલનો ઉપદ્રવ ન વધે તે માટે મહાનગરપાલિકા પાસે કોઈ નક્કર આયોજન હાલ નથી ઊલટું સંબંધિત વિભાગના અધિકારીઓ તો એવું કહી રહ્યા છે કે આ દુષણને દૂર કરવું જ અશક્ય છે. કારણ કે જો આ દુષણ ને દૂર કરવું હોય તો પાણીની નીચે રહેતા જે વન્ય નાના નાના જીવો છે તેને તેની માટી અસરનો સામનો કરવો પડશે મતલબ એ જ થયો કે એ જીવોને નુકસાન ન પહોંચાડવા માટે શહેરમાં ભલે રોગચાળો ફાટી નીકળે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી.
બીજી સૌથી મોટી વાત એ છે કે મહાનગરપાલિકા પાસે આ અંગે કોઈ નક્કર આયોજન નથી કે ક્યારે આ વેલને દૂર કરવા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવે અધિકારીઓના જણાવ્યા અનુસાર માત્રને માત્ર જ્યારે રજૂઆત અથવા તો ફરિયાદ ઉઠે કે ગાંડીવેલનું દુષણ વધ્યું છે ત્યારે જ એ મશીનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારે આવનારા દિવસોમાં આ પ્રશ્ર્ન અત્યંત વિકટ બની રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. મશીનો અંગે હરિયાલીટી ચેક કરવામાં આવતા માલુમ પડ્યું કે મશીનની હાલત પણ અત્યંત દયનિય થઈ ગઈ છે. જો હજુ પણ આનો ઉપયોગ કરવામાં નહીં આવે તો આજે નુકસાની થશે તેનો માર કોના ઉપર તે પણ સૌથી મોટો પ્રશ્ર્ન છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરી ને મહાનગરપાલિકા દ્વારા આ બે મશીન લેવામાં આવ્યા હતા પરંતુ તેનો જે ઉપયોગ થવો જોઈએ તે થયો નથી ઊલટું હજુ પણ યાદ પાછળ અથવા તો તે આજી નદી આજુબાજુ ગાંડીવેલ ફરી જોવા મળી રહી છે. ત્યારે જો આ અંગે કોઈ નક્કર નિર્ણય અથવા તો આયોજન હાથ ધરવામાં નહીં આવે તો ભવિષ્યમાં ફરી રાજકોટમાં રોગચાળો ફાટી નીકળશે ત્યારે તેનું જવાબદાર કોણ તે જવાબદારી પણ ફિક્સ થવી જોઈએ તેમ લોકો અને તજજ્ઞ જણાવી રહ્યા છે.
