સામા કાંઠે આર્યનગરનો બનાવ: યુવાનના પત્નિને સાસુ સાથે ચડભડ થતાં રિસામણે હતી: પતિ સાથે ફોનમાં ફરી ચડભડ થતાં પતિએ પોતે દવા પી જાય છે તેમ કહ્યું: તેણી સાસરે જોવા આવી તો પતિ સાથે સાસુ-સસરા પણ ઝેર પીધેલા મળતાં સારવારમાં ખસેડ્યા : સસરાનું મોત
(દર્શનસિંહ જાડેજા દ્વારા)
રાજકોટ મિરર તા. 5
રાજકોટ: ઘર પરિવાર હોય ત્યાં વાસણ ખખડતા હોય છે. એટલે કે અમુક ઘરોમાં પતિ-પત્નિ વચ્ચે કે પછી સાસુ-વહૂ વચ્ચે કે પછી નણંદ-ભોજાઇ વચ્ચે કે દેરાણી-જેઠાણી વચ્ચે નાની મોટી વાતે ચડભડ થતી રહેતી હોય છે. પરંતુ ક્યારેક આવી બબાલ ગંભીર સ્વરૂપ પકડી લે તો માઠુ પરિણામ આવતું હોય છે. રાજકોટ શહેરના સામા કાંઠે રહેતાં યુવાન અને તેના માતા-પિતાએ ગૃહકલેશને કારણે એક સાથે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતાં ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. દરમિયાન ઘરના મોભી ભરતભાઇ કોટેચાનું સારવાર દરમિયાન મૃત્યું થયું છે. જ્યારે તેમના પતિ અને પુત્ર સારવાર હેઠળ હોવાનું પોલીસે જણાવ્યું છે.
અઠવાડીયાથી રિસામણે રહેલી પરિણીતા સાસરે પહોંચી ત્યારે પતિ, સાસુ, સસરાને ઝરે પીધેલી હાલતમાં નિહાળતમાં હતપ્રભ થઇ ગઇ હતી અને તેણીએ જ ત્રણેયને દવાખાને પહોંચાડ્યા હતાં.બનાવની જાણવા મળેલી માહિતી અનુસાર આર્યનગરમાં રહેતાં લોહાણા યુવાનની પત્નિ અઠવાડીયા પહેલા રેસકોર્ષ પાર્કમાં માવતરે જતી રહી હોઇ અને મંગળવારે તેણીએ ફોન પર વાત કરતાં અલગ થવા મામલે પતિ સાથે ચડભડ થતાં પતિએ પોતે દવા પી જાય છે તેવી વાત કરી હતી અને ફોન કટ કરી નાખ્યો હતો. બાદમાં પત્નિ માવતરેથી સાસરીયે જોવા આવતાં પતિ અને સાસુ સસરા દવા પીધેલી હાલતમાં મળ્યા હતાં. વિગતો પર નજર કરીએ તો આર્યનગર શેરી નં. 20માં બાપા સિતારામ મઢુલી પાસે રહેતાં પાંત્રીસ વર્ષના ગોૈરવભાઇ ભરતભાઇ કોટેચા નામના યુવાન તથા તેના સિત્તેર વર્ષના માતા સરલાબેન ભરતભાઇ કોટેચા અને સિત્તેર વર્ષના પિતા ભરતભાઇ શાંતિલાલ કોટેચા મંગળવારે બપોરે બારેક વાગ્યે ઝેરી દવા પી જતાં સારવાર માટે પીડીયુ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.જ્યાં સારવાર દરમિયાન ભરતભાઇ કોટેચાનું મૃત્યું થયું હતું. ઇમર્જન્સી વિભાગના ડોક્ટરે આ ઘટનામાં પોલીસ કેસ જાહેર કરતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. માતા-પિતા સાથે ઝેર પી લેનારા ગોૈરવભાઇને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પોતે બે બહેનના એકના એક નાના ભાઇ છે અને કુવાડવા રોડ સાત હનુમાન પાસે એલઇડીની શો રૂમમાં નોકરી કરે છે. ગોૈરવભાઇના પત્નિનું નામ રાધીકાબેન છે. તેણીએ જ ત્રણેયને સારવાર માટે પહોંચાડ્યા હતાં. તેણીએ વિગતો જણાવતાં કહ્યું હતું કે અમારે ઘરમાં સાસુ-વહુ વચ્ચે ચડભડ થઇ હોઇ અઠવાડીયા પહેલા હું રેસકોર્ષ પાર્કમાં માવતરે જતી રહી હતી. તેણીએ આગળ કહેલુ કે મંગળવારે મેં પતિને ફોન કરીને એકાદ મહિનો અલગ રહેવા જતા રહીએ ઘરમાં કલેશ શાંત થઇ જશે તેવી વાત કરતાં ફરીથી અમારે ચડભડ થઇ હતી.. એ પછી પતિએ મને પોતે દવા પી જાય છે તેમ કહી ફોન કટ કરી નાખ્યો હતો. ત્યારબાદ હું માવતરેથી સાસરે પહોંચતા રૂમમાં મારા પતિ તેમજ સાસુ અને સસરા ત્રણેયને દવા પીધેલી હાલતમાં જોતાં મેં જ ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. અગાઉ મેં પણ ફિનાઇલ પી લીધુ હતું તેમ તેણીએ વધુમાં જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલ ચોકીના ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરતાં પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.