રાજકોટ, તા. 24
છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગની સાથોસાથ જીએસટી વિભાગ દ્વારા પણ સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે જેમાં વિભાગ દ્વારા એ વાતની ગંભીરતાપૂર્વક નોંધ લેવામાં આવી છે કે હાલ લોકો એટલે કે વેપારીઓ આવક મેળવવાની લાયમાં ખૂબ મોટા પ્રમાણમાં કરચોરી કરતા હોય છે ત્યારે જીએસટી વિભાગ કે પછી અન્ય વિભાગ દ્વારા તેમના પર આકરા પગલા લેવામાં આવે છે અને જે કરચોરી કરવામાં આવતી હોય તેને પણ પકડી પાડવામાં આવે છે.
માર્ચ મહિનો નજીક હોવાના કારણે અત્યારે સૌથી મોટી વાત અને તકલીફ જો કોઈ વિભાગ માટેની હોય તો તે આપવામાં આવેલા ટાર્ગેટ ની પૂર્તિનો છે ત્યારે આવકવેરા વિભાગ દ્વારા વ્યાપક પ્રમાણમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે તો સામે જીએસટી વિભાગ દ્વારા પણ એ જ સ્થિતિ ઊભી થઈ છે.
મળતી માહિતી મુજબ કચ્છના ગાંધીધામમાં આવેલી ટિમ્બરની પાંચ પેઢી પર અમદાવાદ જીએસટી ઇન્ટેલિજન્સ ની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને 37 કરોડની જીએસટી ચોરીનું કૌભાંડ પણ બહાર લાવવામાં આવ્યું હતું. કારણકે સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે મુજબ સ્થાનિક જીએસટી વિભાગ ને ધ્યાને લેવામાં આવ્યું ન હતું અને માત્ર અમદાવાદની મુખ્ય ટીમ દ્વારા જ દરોડા પાડવામાં આવતા જ અન્ય ક્ષેત્રના વેપારીઓમાં પણ ફાફડાટ મચી જવા પામ્યો હતો. ગાંધીધામ સંકુલમાં આવેલી પાંચ જાણીતી ટીમ્બર પેઢીમાં અમદાવાદ ડિરેકટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલોજન્સ (ડીજીજીઆઇ)એ દરોડા પાડીને 37 કરોડના જીએસટી ચોરીના કૌભાંડનો, સ્થાનિક જીએસટી કચેરીને અંધારામાં રાખીને પર્દાફાશ કરતાં ટેક્સચોરોમાં ફફડાટ ફેલાયો છે.
અમદાવાદ ડીજીજીઆઇની ટુકડીએ પાંચ પેઢીઓ વિદેશથી લાકડાં આયાત કરી તેનું બિલ વગર રોકડમાં વેચાણ કરાતું હોવા અંગેની પૂર્વ બાતમીના આધારે સર્ચ અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ 37 કરોડની જીએસટી ચોરી મળી આવી હતી તેમજ એક પેઢીના માલિકના ઘરમાંથી 43 કરોડની સંભવિત બેનામી રોકડ રકમ પણ મળી આવી હતી.
માત્ર રોકડ અને જીએસટી ચોરી જ નહીં અન્ય વસ્તુ કે જે તપાસમાં ઉપયોગી થઈ શકે તેને પણ સીઝ કરવામાં આવ્યું છે જે અંગે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે બીજી તરફ તજજ્ઞો અને સંપર્ક સૂત્રોના જણાવ્યા અનુસાર એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે કે આ પાંચ પેઢીનું અન્ય કઈ પેઢી સાથે કનેક્શન હતું અને તે મુજબની કામગીરી હવે ભવિષ્યમાં કરવામાં આવે તો પણ નવાઈ નહીં.
સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાના આ પ્રકરણમાં 37 કરોડની જીએસટીની ચોરી બહાર આવ્યા બાદ અમદાવાદ ડીજીજીઆઇએ પેઢીના સંચાલકોના મોબાઇલ, લેપટોપના ડીજીટલ ડેટા નેશનલ ફોરેન્સિક સાયન્સમાં વધુ ચકાસણી અર્થે મોકલાવ્યા હોવાનું પણ બહાર આવ્યું હતું.
બાકી રહેતા એક મહિનાના સમયગાળામાં હજુ પણ જીએસટી અને આવકવેરા વિભાગ અન્ય પેઢીઓ પર ત્રાટ કે અને જીએસટી ચોરી બહાર લાવે તેવું સામે આવી રહ્યું છે. માટે હાલ બંને સેન્ટ્રલ એજન્સી દ્વારા નક્કર પગલાઓ લેવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં વિદેશથી લાકડા મંગાવી તે લાકડાને સ્થાનિક બજારમાં વગર બિલ પર વેચવાનું કૌભાંડ પેઢી ધારકો દ્વારા આચરવામાં આવતું હોવાનું માલુમ પડ્યું છે.
