2જી માર્ચે મોદીજી સાસણ સોમનાથની મુલાકાતે
વાઈલ્ડ ફોરેસ્ટ બોર્ડની બેઠકનું આયોજન વિચારણા હેઠળ હોવાના નિર્દેશ
રાજકોટ,તા.24
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ચુકી છે અને ફરી વખત વડાપ્રધાન મોદી વિવિધ રાજ્યની મુલાકાત લઈ વિકાસ કામોને ખુલ્લા મુકી રહ્યાં છે ત્યારે સૌરાષ્ટ્ર માટે સારા સમાચાર એ છે કે વડાપ્રધાન મોદી ગીર સાસણની મુલાકાત લે અને સોમનાથ મહાદેવને શીશ નમાવે તેવી સંભાવના હાલ વ્યકત થઈ રહી છે. મળતી માહિતી મુજબ અને સુત્રોના જણાવ્યા અનુસાર 2જી અને 3જી માર્ચે મોદીજી સાસણ તથા સોમનાથની મુલાકાત લે તેવી પ્રબળ સંભાવનાઓ વ્યકત કરવામાં આવી રહી છે. એટલું જ નહીં વાઈલ્ડ ફોરેસ્ટ બોર્ડની બેઠકનું પણ આયોજન હાલ વિચારણા હેઠળ હોવાના નિર્દેશો થઈ રહ્યાં છે. બીજી તરફ ઈકો ઝોનને લઈને જે જાહેરાત થઈ છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના જોવા મળી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન સોમનાથમાં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી શકે છે. વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડે નિમિત્તે તેઓ ગીર અને સોમનાથની મુલાકાત કરે તેવી પ્રબળ સંભાવનાઓ હાલ વ્યકત કરવામાં આવી રહી છે. એટલું જ નહીં વાઈલ્ડ ફોરેસ્ટ બોર્ડની બેઠકમાં સિંહ સંરક્ષણ માટે નવી યોજનાની પણ જાહેરાત કરવામાં આવી શકે છે ત્યારે કેન્દ્રના વન અને પર્યાવરણ વિભાગનાં તેમજ પાટનગર ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
વડાપ્રધાન મોદીનું જે સ્વપ્ન છે તેને સાકાર કરવા માટે વિવિધ યોજનાઓની અમલવારી કરવામાં આવી છે. પરંતુ તેઓ વન્ય જીવન સૃષ્ટિનાં સંવર્ધન અને ઈકો સિસ્ટમને મજબૂત બનાવવા માટે પણ દરેક સંભવત પ્રયત્નો કરી રહ્યાં છે. કારણ કે તેમની વન્ય જીવન પ્રત્યેની લાગણી અને ભાવ કંઈક અલગ જ છે. પછી તે ગીર-સાસણ હોય કે કાઝીરંગા પાર્ક હોય કે જીમર્કોબેટ પાર્ક હોય આ તમામ વન્ય સૃષ્ટિ માટે ઉભા કરેલા પાર્કને વધુ વિકસીત કરવા તે નેમ સાથે વડાપ્રધાન આગળ વધી રહ્યાં છે એટલું જ નહીં તેમનું માનવું છે કે દેશમાં ગ્રીન કવર પણ એટલું જ વધવું જોઈએ.z
