PI સંજય પાદરીયા દ્વારા હુમલો કરાતા ચકચાર, ગુન્હો નોંધવા તજવીજ
રાજકોટ મિરર, તા.25
શહેરના મવડી-કણકોટ રોડ પરની વાડીમાં લગ્ન પ્રસંગે હાજર રહેલા જયંતી સરધારા નામના મનપાના પૂર્વ કોર્પોરેટર જયંતી સરધારા પર આજે હિચકારો હુમલો થતા ચકચાર જાગી હતી. જાણકારોના મતે આ હુમલો પીઆઈ સંજય પાદરીયા દ્વારા કરાયો હોવાના આક્ષેપો થયા છે. હુમલા બાદ ઘવાયેલા સરધારાને ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા. લોકોમાં ચર્ચાઓ સંભળાઈ હતી કે, હુમલાનું કારણ ખુદ જે.કે.સધારાની જીભ હોવાનું મનાય છે.
પ્રાપ્ત વિગતો મુજબ રામ્યુકોના પૂર્વ કોર્પોરેટર જયંતીભાઈ સરધારા આજે મવડી-કણકોટ રોડ પરની શ્યામ તેમના ભત્રીજાના દીકરાના ભાણેજના લગ્ન પ્રસંગમાં હતા ત્યારે તેઓની ગાડી વચ્ચે ઉભા રહીને પીઆઈ સંજય પાદરીયાએ “તું સમાજનો ગદ્દાર છો, સરદારધામના ઉપપ્રમુખ તરીકે કેમ જોડાયો ? ખોડલધામ અને સરદારધામ વચ્ચે વર્ષોથી વેરઝેર છે, નરેશ પટેલ સામે થયો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી માથામાં કોઈ હથિયાર ફટકારી દેતા જયંતી સરધાર લોહીલુહાણ હાલતમાં પોતાની કાર લઈને ભાગ્યા હતા. આવા સમયે પણ સંજય પાદરીયાએ ફરી કાંઠલો પકડી કારમાંથી બહાર કાઢવાની કોશિશ કરી કહ્યું હતું કે, આટલી વાર લાગશે મારી નાખવામાં !
બનાવની જાણ પરથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. દરમિયાન ઈજાગ્રસ્ત જયંતી સરધારાને સારવાર માટે ગીરીરાજ નામની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
બનાવ સમયે લોકોના મોટા ટોળામાં ચર્ચાતું હતું કે, છેલ્લા પખવાડિયા થયા ખોડલધામ સહિતના આગેવાનો વિષે એલફેલ બોલતા હોવાનું મનાય છે. ટોળાના અમુક શાણા લોકોમાં એવું પણ ચર્ચાતું હતું કે ” હાડકા વગરની જીભ હાડકા ભંગાવી નાખે” તેવી વાત જયંતી સરધારા માટે સાબિત થઇ હોવાનું મનાય છે.
આ અંગે જે હોય તે પણ બનાવની જાણ પરથી ઉચ્ચ પોલીસ કાફલો ખાનગી હોસ્પિટલે દોડી ગયો છે અને ઈજાગ્રસ્ત સરધારાનું નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી હતી. બીજીબાજુ આ આ લખાય છે ત્યારે રાત્રીના 12:04 વાગ્યે તાલુકા પોલીસ સ્ટેશનનો ફોન રીસીવ કરનાર મહિલા પીએસઓએ “રાજકોટ મિરર”ને જણાવ્યું હતું કે. જયંતીભાઈ કરશનભાઈ સરધારા (ઉ.58) (રહે. શ્રી રામપાર્ક, શેરી-1, નવનીત હોલ પાસે કોઠારિયા રોડ, રાજકોટ) વાળા આજે રાત્રીના 8-35 વાગ્યાની આસપાસ કણકોટ રોડ પર શ્યામ પાર્ટી પ્લોટમાંથી લગ્નપ્રસંગ પૂર્ણ કરી બહાર નીકળતા હતા ત્યારે પીઆઈ સંજય પદારીયાએ જયંતી સરધારાણે રોકી કોઈ વસ્તુ વડે હુમલો કરી કપાળમાં મુંઢ ઈજા કરતા 150 ફૂટ રીંગ રોડ પર આવેલી ગીરીરાજ હોસ્પીટલમાં વોર્ડ 502માં દાખલ કરેલ છે. પોલીસના કહેવાનુસર ઇજાગ્રસ્તનું નિવેદન લીધા બાદ ગુન્હો નોંધાશે.
