વાવ પણ..
મહારાષ્ટ્ર-ઝારખંડની ધારાસભાની ચૂંટણી સાથે અન્ય રાજ્યોમાં પેટા ચૂંટણીઓ યોજાઈ હતી. બિહારમાં પણ ચાર બેઠકો પર ચૂંટણી થઇ હતી. આ ચૂંટણીમાં પ્રશાંત કિશોરનો પક્ષ જન સુરાગ પાર્ટી પણ મેદાનમાં હતી. પ્રશાંત કિશોર ચૂંટણી રણનીતિથી માંડીને બ્રાન્ડીંગના પ્રોફેશનલ બાદશાહ ગણાય છે. ખુદે પક્ષ સ્થાપીને બિહારની ચારેય બેઠક પર ઝંપલાવ્યુ હતું અને તમામ પર વિજય મેળવવાનો દાવો કર્યો હતો.
પરિણામોમાં પ્રશાંતના ઉમેદવારોને ડીપોઝીટ બચાવવાના પણ ફાંફા પડી ગયા હતા. રાજનીતિમાં પડદા ઉપર અને પડદા પાછળ કામ કરી દેખાડવામાં તફાવત છે, જેનો અનુભવ પ્રશાંતને થઇ ગયો. બ્રાન્ડીંગના બાદશાહ પ્રશાંત કિશોર પોતાની બ્રાન્ડની આબરૂૂ બચાવી ન શક્યા.
બિહાર સાથે ગુજરાતમાં પણ વાવ બેઠક પર પેટા ચૂંટણી થઇ હતી. આ બેઠક પર પરંપરાથી કોંગ્રેસનો પ્રભાવ હતો. ગુજરાત કોંગ્રેસ પાસે પોતાની બ્રાન્ડ મજબૂત બનાવવાની તક હતી. પરંતુ ખુદની બેઠક પણ ગૂમાવી દીધી છે. ગુજરાત કોંગ્રેસ પાસે ગુમાવવા જેવું ખૂબ ઓછું છે હવે વાવ બેઠક પણ..
ગુજરાતમાં ત્રણ દાયકાથી કોંગ્રેસ સગાથી દૂર છે. ગુજરાતના મુખ્ય વિપક્ષને નિષ્ફળતા ફાવી ગઈ છે. હજુ પણ આ પક્ષ પાસે કોઈ જ રણનીતિ નથી. નકારાત્મક નિવેદનો સિવાય કોંગીજનો કઈ કરી રહ્યા નથી. વિપક્ષનું મુખ્ય કામ લોકોના પ્રશ્ને લડત આપીને પ્રશ્ન ઉકેલવા શાસકને મજબૂર કરીને લોકોનો વિશ્વવાસ જીતવાનું હોય છે.
છેલ્લા 30 વર્ષમાં ગુજરાતમાં કોંગ્રેસે એક પણ મુદ્દે રાજ્યવ્યાપી લડત ચલાવી નથી. આવા પક્ષને મત કેવી રીતે મળે ? ચૂંટણી પરિણામોમાં મુંડાવ્યા બાદ ગરબડીના આક્ષેપો કરે છે. પરંતુ પોતાની મર્યાદા દૂર કરવા કોંગ્રેસ કઈ કરતી નથી.
જો કે કૂવામાં હોય તો અવેળામાં આવે ને ? કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્તરે જ કઈ ચામ નથી. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ સતત પરાજિત થઇ રહી છે. છતાં કોંગીજનો તેમને સહન કરતા રહે છે. રાહુલ ગુજરાત કોંગ્રેસને કઈ કહી ન શકે, કારણ કે ખુદ કઈ ઉકાળી શકતા નથી તો અન્ય સામે ક્યા મોંએ વાત કરે ?
રાજ્યમાં કે દેશમાં કોંગ્રેસ જીતે કે ન જીતે, તેમાં આપણે કઈ લેવાદેવા ન હોય, સવાલ વિપક્ષનો છે. લોકશાહીની તંદુરસ્તી માટે વિપક્ષ મજબૂત અને સક્રિય હોવો જોઈએ. કોંગ્રેસમાં આ અંગે જરા પણ ગંભીરતા દેખાતી નથી. વિપક્ષની ભૂમિકા સામાન્ય હોતી નથી. પશ્ચિમ બંગાળમાં ભાજપ વિપક્ષપદે મરણીયો બનીને સક્રિય રહે છે. ગુજરાતમાં કોંગીજનો ત્રણ દાયકામાં ક્યારેય મરણીયા બન્યા નથી.
કઇ જ પરાક્રમ કર્યા વગર લોકો કોંગ્રેસને મત આપે તેવી અપેક્ષા કોંગીજનો રાખે છે. આવું કરનાર નેતા ન ગણાય. આ માટે શ્રેષ્ઠ શબ્દ શેખચલ્લી છે.
